VIDEO: જમીનના દસ્તાવેજો નાગરિકતાનો પુરાવો નથી, કલકત્તા હાઈકોર્ટનો ચૂકાદો
કોલકાતા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ કેસની સુનાવણી દરમિયાન મોટી ટિપ્પણી કરી છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે જમીનના રેકોર્ડ કે દસ્તાવેજોને ભારતીય નાગરિકતાનો પુરાવો માની શકાય નહીં. પશ્ચિમ બંગાળમાં જૂન મહિનામાં બાંગ્લાદેશી ઘૂસણખોર હોવાના આરોપમાં અટકાયત કરાયેલા નાસિર મોલ્લાહ નામના વ્યક્તિના કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો છે. હાલમાં તે ડિટેન્શન સેન્ટરમાં છે. સુનાવણી દરમિયાન આરોપીના વકીલે દાવો કર્યો હતો કે તે ભારતીય નાગરિક છે. જ્યારે રાજ્ય સરકારે જણાવ્યું કે સંબંધિત વ્યક્તિએ પોતે વિદેશી નાગરિક હોવાનું સ્વીકાર્યું છે. જ્યારે કોર્ટે નાસિર ભારતીય નાગરિક છે તે સાબિત કરતા કાગળો માંગ્યા, ત્યારે વકીલે જમીનના દસ્તાવેજો રજૂ કર્યા હતા. તેના પર કોર્ટે બે પાનાના આદેશમાં સ્પષ્ટ કહ્યું કે, કોઈ વિદેશી નાગરિક ભારતમાં સંપત્તિ ખરીદી શકે છે. કેવળ એ આધારે કે વિદેશી નાગરિકે ભારતમાં અચલ સંપત્તિ ખરીદી છે, એવું ન માની શકાય કે તે ભારતીય નાગરિક છે. હાઈકોર્ટે ભારતીય નાગરિકતા સાબિત કરતા નક્કર દસ્તાવેજો રજૂ કરવા માટે આગામી 20 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.

