જાણો,CBSE નો કડક નિયમ: આ વિદ્યાર્થીઓને નહીં મળે માર્કશીટ!

CBSC (કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ) સ્કૂલોમાં બોર્ડના પરીક્ષાર્થીઓ માટે 75% હાજરી ફરજિયાત છે. પરંતુ, અમુક શાળાઓમાં ઓછી હાજરીની ફરિયાદને ધ્યાનમાં રાખતા કેન્દ્રીય બોર્ડે નિર્ણય લીધો છે કે, શાળાએ ગયા વિના ન તો આંતરિક મૂલ્યાંકન (ઇન્ટરનલ અસેસમેન્ટ) કરવામાં આવશે કે ન તો પરિણામ જાહેર કરવામાં આવશે.
75% હાજરી ફરજિયાત
શાળાઓએ ખાતરી કરવી પડશે કે, વિદ્યાર્થીઓની હાજરી 75%થી ઓછી ન હોય. આ સાથે, શાળાઓ CBSEની પરવાનગી વિના કોઈપણ નવો વિષય ભણાવી શકશે નહીં. વિદ્યાર્થીઓનું આંતરિક મૂલ્યાંકન યોગ્ય રીતે અને સમયસર પૂર્ણ કરવાની જવાબદારી શાળાઓની રહેશે.
કેવા વિદ્યાર્થીઓને રિઝલ્ટ મળશે નહીં?
નવી શિક્ષણ નીતિ (NEP-2020) હેઠળ, 2 વર્ષ માટે બધા વિષયોમાં આંતરિક મૂલ્યાંકન કરવામાં આવે છે. જો વિદ્યાર્થીઓ શાળાએ નહીં આવે, તો તેમનું આંતરિક મૂલ્યાંકન શક્ય નહીં બને અને પરિણામ જાહેર કરવામાં નહીં આવે.
સોમવારે જાહેર કરી નોટિસ
15 સપ્ટેમ્બર, સોમવારે CBSE દ્વારા જાહેર કરવામાં આવેલી નોટિસમાં જણાવાયું હતું કે, ધોરણ 10 માટે ધોરણ 9 અને ધોરણ 12 માટે ધોરણ 10 - 11નો અભ્યાસ પૂરો કરવાનો રહેશે. ધોરણ 10માં વિદ્યાર્થી પાંચ ફરજિયાત વિષય સિવાય વધારાના બે વિષય અને ધોરણ 12માં વધારાનો એક વિષય લઈ શકે છે.
75%થી ઓછી હાજરી પર પરીક્ષામાં નહીં બેસવા મળે
CBSE પરીક્ષા નિયંત્રક ડૉ. સંયમ ભારદ્વાજે કહ્યું કે, આ નિયમો વિદ્યાર્થીઓ અને શાળા બંનેને સમાન રીતે લાગુ પડશે અને કોઈપણ સંજોગોમાં તેને અવગણી શકાય નહીં. આ ફેરફારને કારણે, જે વિદ્યાર્થીઓની હાજરી 75%થી ઓછી છે તેમને પરીક્ષામાં બેસવાથી રોકી શકાય છે.

