VIDEO: સોનમ વાંગચુકની તબિયત લથડતા કેજરીવાલ અને અખિલેશ યાદવે ઉપવાસ તોડવા કરી અપીલ
દિલ્હીના જંતર-મંતર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલી ભૂખ હડતાલ 16મા દિવસે પણ ચાલુ રહી છે, જેમાં લાંબા સમયથી અનશન પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકની તબિયત બગડતા વિપક્ષી નેતાઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોનમ વાંગચુકને અનશન સમાપ્ત કરવાની અપીલ કરી છે અને પેપર લીકની ઘટનાઓ રોકવા પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગ સાથે આંદોલનને સમર્થન આપ્યું છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ સોનમ વાંગચુકને અતિ વિનમ્ર આગ્રહ સાથે ઉપવાસ તોડવા વિનંતી કરી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે, જ્યારે સોનમ વાંગચુકે આ મુદ્દાને દેશનો વિષય ગણાવી તમામ નેતાઓને સાથે આવવા આહ્વાન કર્યું છે.
અરવિંદ કેજરીવાલે સોનમ વાંગચુકને ભૂખ હડતાલ સમેટવા કરી અપીલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સોનમ વાંગચુકને અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ સમાપ્ત કરવા માટે ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, 'સનમ વાંગચુક ઘણા દિવસોથી ભૂખ હડતાલ પર છે અને તેમની તબિયત સતત બગડી રહી છે. તે દેશની ધરોહર છે. હું તેમને અપીલ કરું છું કે તે પોતાની ભૂખ હડતાલ સમાપ્ત કરે. સંઘર્ષના અન્ય રસ્તાઓ પણ હોઈ શકે છે.' દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ આંદોલનને પોતાનું સમર્થન જાહેર કરતા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)ના તત્કાલ રાજીનામાની માંગ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓને મુશ્કેલીઓથી બચાવવા માટે પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવો અનિવાર્ય છે. તેઓ ગુરુવારે સાંજે 5 વાગ્યે જંતર-મંતર જઈને વિરોધ પ્રદર્શનમાં જોડાશે.
અખિલેશ યાદવે ભાજપ સરકારને સંવેદનહીન ગણાવી ઉપવાસ તોડવા વિનંતી કરી
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે (Akhilesh Yadav) સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને સોનમ વાંગચુકને પોતાનું અણમોલ જીવન બચાવવા માટે અનશન તોડી નાખવા અપીલ કરી છે. અખિલેશ યાદવે સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, 'જે ભાજપ સરકારને જગાડવા માટે તેઓ આમરણ અનશન પર છે તે તો એક સિદ્ધાંતહીન, ભ્રષ્ટ તંત્ર છે, તેની અસંવેદનશીલતા અને હૃદયહીનતામાં કોઈના પણ ત્યાગનું કોઈ મૂલ્ય નથી. તેથી ભાજપના લોકો પાસેથી સદાચાર અને હૃદય પરિવર્તનની કોઈ પણ અપેક્ષા નિરર્થક છે.' તેમણે કટાક્ષ કર્યો હતો કે સત્તાધારીઓ માટે ધન જ પ્રધાન છે અને તેઓ ભ્રષ્ટાચારના નાણાંના અહંકારમાં ચૂર છે, તેથી દેશવાસીઓ અને યુવાઓના સંઘર્ષ માટે વાંગચુકે પોતાનું મનોબળ જાળવી રાખીને સ્વસ્થ રહેવું જરૂરી છે.
સોનમ વાંગચુકે આંદોલનને દેશનો વિષય ગણાવી નેતાઓને સાથે આવવા કહ્યું
NEET-UG અને અન્ય પરીક્ષાઓમાં થયેલી કથિત ગેરરીતિઓ સામે 28 જૂનથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાલ પર બેઠેલા સોનમ વાંગચુકની તબિયત સતત લથડી રહી છે અને તેમનું વજન 8 કિલો કરતાં વધુ ઘટી ગયું છે. વિપક્ષી નેતાઓની ચુપ્પી અંગે મીડિયા અહેવાલોના આધારે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સોનમ વાંગચુકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'જો તેઓ સાથ નહીં આપે તો તેને બહુ નાની બાબત ગણવામાં આવશે. બધાએ સાથે આવવું જોઈએ. આ દેશનો વિષય છે.' આંદોલનકારીઓનું કહેવું છે કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સકારાત્મક પહેલ કરવામાં આવી નથી, પરંતુ સંખ્યા ગમે તેટલી ઘટે તો પણ તેમની માંગણીઓ અને આંદોલનનો હેતુ અડગ રહેશે.

