VIDEO: IT પ્રોફેશનલ્સની થશે ટેક્સ ફ્રી કમાણી, લક્ઝરી કાર અને સ્કોચ વ્હિસ્કી સસ્તી થશે, ભારત-બ્રિટન મુક્ત વ્યાપાર કરાર 15 જુલાઈથી લાગુ થશે
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મિડિલ ઈસ્ટમાં ટેન્શન ચરમસીમાએ છે. વૈશ્વિક બજારો તૂટી રહ્યા છે અને ક્રૂડ ઓઈલના ભાવ ઉકળી રહ્યા છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત માટે એક બહુ મોટા આર્થિક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જાહેરાત કરી છે કે ભારત અને બ્રિટન વચ્ચેનો મુક્ત વ્યાપાર કરાર (India-UK FTA) આગામી 15 જુલાઈથી સંપૂર્ણપણે લાગુ થઈ જશે. આ ડીલ બાદ ભારતીય ઉદ્યોગોને બ્રિટનમાં ડ્યુટી ફ્રી (કરમુક્ત) નિકાસનો લાભ મળવાનું શરૂ થઈ જશે.
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતની દનાદન ડીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર અને મિડિલ ઈસ્ટના જંગ વચ્ચે ભારતે પોતાની આર્થિક નીતિઓ મજબૂત કરી છે. ભારતે એક પછી એક ઓમાન, ન્યુઝીલેન્ડ અને યુરોપિયન યુનિયન (EU) સાથે વ્યાપારિક કરારો કર્યા છે. આ કડીમાં હવે ભારત-બ્રિટન FTA આખરી તબક્કામાં પહોંચ્યો છે. પીયૂષ ગોયલે જણાવ્યું કે 15 જુલાઈથી બ્રિટન મોકલવામાં આવતી તમામ ભારતીય વસ્તુઓ પર કોઈ ઈમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) નહીં લાગે. આ ઐતિહાસિક નિર્ણયથી ભારતના ખેડૂતો, માછીમારો, MSMEs અને સ્થાનિક ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તરે બહુ મોટો વેગ મળશે. કેન્દ્રીય મંત્રી 14 જુલાઈથી બ્રસેલ્સમાં યોજાનારી ભારત-EU વ્યાપાર અને ટેકનોલોજી કાઉન્સિલ (TTC) ની બેઠકમાં પણ ભાગ લેવાના છે.
ભારતીય આઈટી પ્રોફેશનલ્સની ચાંદી: ટેક્સ ફ્રી કમાણી અને PF પર 8.25% વ્યાજ
આ વ્યાપાર કરાર માત્ર વસ્તુઓ પૂરતો સીમિત નથી, પરંતુ બ્રિટનમાં કામ કરતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ માટે લોટરી સમાન સાબિત થશે. આ ડીલમાં ‘ડબલ કન્ટ્રીબ્યુશન કન્વેન્શન’ (DCC) ની જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ નિયમ અંતર્ગત હવે બ્રિટનમાં 5 વર્ષ સુધી કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સે ત્યાંની સામાજિક સુરક્ષા વ્યવસ્થા (Social Security) માં કોઈ નાણાકીય યોગદાન આપવું નહીં પડે. અગાઉ ભારતીય પ્રોફેશનલ્સના પગારનો આશરે 25% જેટલો મોટો હિસ્સો બ્રિટન સરકારની આ યોજનામાં જતો હતો. જે હવે સંપૂર્ણ બચી જશે. આ બચેલા પૈસા ભારતમાં તેમના ભવિષ્ય નિધિ ખાતા (PF Account) માં જમા કરવામાં આવશે, જેના પર વાર્ષિક 8.25% ના દરે વ્યાજ મળશે અને આ આખી રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહેશે.
મોંઘીદાટ લક્ઝરી કાર અને સ્કોચ વ્હિસ્કીના ભાવ ધડાધડ ઘટશે
આ ડીલ લાગુ થતાં જ ભારતીય બજારમાં બ્રિટનથી ઈમ્પોર્ટ થતી લક્ઝરી ચીજવસ્તુઓ ઘણી સસ્તી થઈ જશે. 15 જુલાઈથી યુકેથી આવતી આયાતી કારોના ભાવમાં 80% સુધીનો મોટો ઘટાડો જોવા મળી શકે છે. આ નિર્ણય બાદ બ્રિટનની પ્રખ્યાત લેન્ડ રોવર, જગુઆર, રોલ્સ રોયસ અને એસ્ટન માર્ટિન જેવી બ્રાન્ડેડ લક્ઝરી કારો ભારતમાં ઘણા ઓછા ભાવે ખરીદી શકાશે. આ ઉપરાંત, ભારતમાં અત્યારે બ્રિટિશ સ્કોચ વ્હિસ્કી પર 150% જેટલી માતબર ઈમ્પોર્ટ ડ્યુટી વસૂલવામાં આવે છે. આ કરાર અંતર્ગત આ ડ્યુટીને તબક્કાવાર ઘટાડીને માત્ર 40% સુધી લાવવામાં આવશે. આનો અર્થ એ થયો કે આગામી સમયમાં સ્કોચ વ્હિસ્કીના ભાવમાં 110% સુધીનો મોટો ઘટાડો થશે.

