INDIGO એરલાઈન્સ: ખામીની પોલ ખોલી કર્મચારીના ખુલ્લા પત્રએ, જે કહ્યું તે વાંચીને ચોંકી ઉઠશો

ભારતની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગો તાજેતરમાં ફ્લાઈટ સંકટ ઉપરાંત એક વાયરલ ખુલા પત્રને કારણે પણ ચર્ચામાં છે, જે એરલાઈનના જ એક કર્મચારીએ લખ્યો છે. આ પત્ર કંપનીની અંદર વર્ષોથી એકત્ર થતા તણાવ, કામ કરવાની ખરાબ પરિસ્થિતિ, વ્યવસ્થાગત ઉપેક્ષા અને ભયના વાતાવરણની માર્મિક સાબિતી પૂરે છે. કર્મચારીનો દાવો છે કે ઈન્ડિગોનું આજનું સંકટ કોઈ અચાનક ઊભી થયેલી સમસ્યા નથી, પણ વર્ષોથી જારી દમનકારી કાર્ય સંસ્કૃતિ અને ચેતવણીઓની ઉપેક્ષાનું પરિણામ છે.
પત્રમાં કર્યો મોટો ખુલાસો
પત્ર લેખક અનુસાર કંપનીની હાલની કટોકટી અચાનક નહિ, પણ વર્ષોની ઉપેક્ષા, દમનકારી નિર્ણયો અને અહંકારથી ઉદ્ભવી છે
કર્મચારીએ જણાવ્યું કે, 2006માં ઈન્ડિગોની શરૂઆત ગર્વથી યુક્ત હતી, પણ કંપનીના વધતા વ્યાપ સાથે આ ગર્વ ધીમે ધીમે અહંકાર અને પછી લાલચમાં તબદીલ થઈ ગયો. એરલાઈનની ભીતર આ માન્યતા દ્રઢ થઈ ગઈ કે આપણે એટલા મહાન થઈ ગયા છીએ કે અસફળ થવાની કોઈ શક્યતા જ નથી. સાથે જ અનેક ખોટા નિર્ણયો લેવાયા, જેમાં નવા પ્રતિસ્પર્ધીઓ, જેવા કે આકાસા એરને નબળા પાડવાના હેતુથી વિશેષ રુટ પર અનાવશ્યક વધુ ફ્લાઈટ ચલાવવા જેવા કૃત્યો સામેલ હતા. પ્રવાસીઓ ભલે એરલાઈનની સમયની પાબંદીથી ખુશ હોય, પણ આ બધુ સ્ટાફની ભલાઈ અને ઓપરેશનલ વ્યવસ્થાના ભોગે હાંસલ થયું હતું.
કર્મચારીએ પત્રમાં લગાવ્યો આરોપ
પત્રનો સૌથી ચોંકાવનારો હિસ્સો હતો નેતૃત્વ સામે કરાયેલા સવાલો. કર્મચારીએ આરોપ લગાવ્યો કે એવા લોકો પણ વાઈસ પ્રેસિડન્ટ બની ગયા જેમને મૂળભૂત ઈમેલ લખવાનો પણ અનુભવ નહોતો. આ પદો પર અમુક કર્મચારીઓને શક્તિશાળી બનાવવાનો જ એકમાત્ર હેતુ હતો. પરિણામે પાયલટ, એન્જિનીયર અને ગ્રાઉન્ડ સ્ટાફ જેવા ફ્રન્ટલાઈન કર્મચારી લગાતાર દબાવમાં આવી ગયા. થકાન, સુરક્ષા જોખમ અને કાર્યભાર વિશે ફરિયાદ કરનારા પાયલટોને દમદાટી, ધમકી અને અપમાનનો સામનો કરવો પડયો.
કેબિન ક્રૂ કિચનમાં બોસીને રડતા
પત્ર લખનાર અનુસાર ગ્રાઉન્ડ સ્ટાફની સ્થિતિ તો વધુ દયનીય થઈ ગઈ. માત્ર 16 હજારથી 18 હજાર માસિક વેતનમાં તેમની પાસે ત્રણ લોકોનું કામ કરાવવમાં આવતું. કેબિન ક્રૂ કિચનમાં બેસીને રડતા હતા, જ્યારે એન્જિનીયર એક સાથે અનેક વિમાનોની જવાબદારી પર્યાપ્ત આરામ વિના સંભાળતા હતા. કર્મચારીઓના કહેવા મુજબ વાતાવરણ એટલું તો તણાવયુક્ત હતું કે પ્રવાસીઓને ગ્રાહક કહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો, જેથી તેમનાથી ભાવનાત્મક અંતર બનેલું રહે.
પત્રમાં એવિયેશન નિયામક પર પણ ગંભીર આરોપ લગાવાયા હતા, જેવા કે વિદેશ જનારા પાયલટોના લાયસન્સ વેરિફાય કરવામાં હેતુપૂર્વકનો વિલંબ અને અનૌપચારિક કીમતો પર કામ કરવાના ઈશારા કરવામાં આવતા. થકાન સંબંધિત નિયમો સખત હોવા છતાં કર્મચારીઓ પાસે કોઈ યુનિયન નહોતું તેમજ નહોતો કોઈ બચાવનો મંચ.
આજનો તણાવ વર્ષોથી સીસ્ટમની નિષ્ફળતાનું પરિણામ
કર્મચારીનો નિષ્કર્ષ બેહદ કઠોર છે. આજ ઉડાનો રદ થવા પર, વિલંબ થવા પર અને કર્મચારીઓની તંગી જેવી સમસ્યાઓ વાસ્તવમાં વર્ષોથી સીસ્ટમ નિષ્ફળતાનું અંતિમ પરિણામ છે. તેમના કહેવા મુજબ અમે વર્ષોથી તૂટી ગયા છીએ, જ્યારે નેતૃત્વ વિદેશોમાં ઉડી રહ્યું હતું ત્યારે અમે માત્ર એક કલાકના અતિરિક્ત આરામ માટે તરસી રહ્યા હતા.
ઈન્ડિગોએ હજી સુધી આ પત્ર વિશે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પણ આ ખુલાસો એરલાઈન ઉદ્યોગ અને પ્રવાસીઓ બંને વચ્ચે ઊંડી ચર્ચા અને ચિંતાને ઈંધણ પૂરુ પાડી રહ્યો છે.

