'રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લઇશું', આસિમ મુનીરની ધમકી પર ભારતનો જવાબ

અમેરિકાથી પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરની પરમાણુની ધમકીના એક દિવસ બાદ ભારત સરકારે પોતાની પ્રતિક્રિયા આપી છે. દેશના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનની સેનાના પ્રમુખ આસિમ મુનીરના ભારત વિરોધી નિવેદનનો આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, આ અત્યંત દુઃખદ છે કે, કોઈ ત્રીજા દેશની ધરતી પરથી તમે આ પ્રકારની ટીપ્પણીઓ કરી રહ્યા છો. ભારતે પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી છે કે, તે પરમાણુના ભય સામે ઝૂકશે નહીં. અમે અમારા રાષ્ટ્રની સુરક્ષા અને હિતને ધ્યાનમાં લેતાં પગલાં લેવાનું ચાલુ રાખીશુ.
પાકિસ્તાનના આર્મી ચીફે અમેરિકામાંથી આપી ધમકી
પાકિસ્તાનના આર્મી ચીફ મુનીરે અમેરિકાની ધરતી પરથી ગઈકાલે ભારતને પરમાણુ હુમલાની ધમકી આપતાં કહ્યું હતું કે, અમે પરમાણુથી સજ્જ રાષ્ટ્ર છીએ. અમે તો ડૂબીશું, અડધી દુનિયાને પણ સાથે લઈને ડૂબીશું. સિંધુ જળ સંધિ રદ કરવાના ભારતના નિર્ણયથી પાકિસ્તાનમાં 25 કરોડ લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યા છે. ભારત સિંધુ નદી પર બંધ બાંધવાની ફિરાકમાં છે. અમે રાહ જોઈ રહ્યા છીએ. જેવો તે બંધ બાધશે, અમે 10 મિસાઈલ હુમલા કરી તે તોડી પાડીશું. અમારી પાસે મિસાઈલોની અછત નથી.
ભારતને પડકારવા ટ્રમ્પ પાકિસ્તાને પડખે આવ્યાં
ભારત-અમેરિકા વચ્ચે વેપાર મંત્રણાઓમાં નડતરરૂપ માગ સામે ભારતે ઝૂકવાનો ઈનકાર કરતાં તેમજ રશિયા સાથે વેપાર ચાલુ રાખવા બદલ ટ્રમ્પ નારાજ છે. ટ્રમ્પે ભારત પર દબાણ વધારવા 50 ટકા ટેરિફ લાદ્યો છે. તેમજ પેનલ્ટી પણ લાદી છે. તેઓ ભારતને ચારેબાજુથી ભીંસમાં લેવા પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા છે. તેમણે પાકિસ્તાનમાં ક્રૂડ ઓઈલ શોધવા માટે કરાર કર્યા છે. તેમજ પાકિસ્તાન પર ટેરિફનો દર ઘટાડ્યો છે.

