Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Indian Railways will change the system that has been running for the last 40 years: AI will make major changes, passengers will get these benefits

છેલ્લા 40 વર્ષથી ચાલતી સિસ્ટમ બદલશે ભારતીય રેલવે: AI દ્વારા કરાશે મોટા ફેરફારો, મુસાફરોને થશે આ ફાયદા

Timeછેલ્લું અપડેટ : 08 Jun 2026
લાઇવ ટીવીGoogle News
છેલ્લા 40 વર્ષથી ચાલતી સિસ્ટમ બદલશે ભારતીય રેલવે: AI દ્વારા કરાશે મોટા ફેરફારો, મુસાફરોને થશે આ ફાયદા
સોર્સ : gstv

ભારતીય રેલવે ઓગસ્ટ મહિનાથી ક્રાંતિકારી ફેરફારો કરવા જઈ રહી છે. છેલ્લા 40 વર્ષથી જે સિસ્ટમના ભરોસે આપણે મુસાફરીનું આયોજન કરતા હતા, તેને હવે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના પાવર અને આધુનિક સર્વર સાથે આવી રહી છે નવી ટિકિટિંગ સિસ્ટમ, જે તમારી આગામી રેલ સફરને વધુ સ્માર્ટ, ફાસ્ટ અને કન્ફર્મ બનાવશે. ચાલો જાણીએ કે આ નવી સિસ્ટમથી મુસાફરોને કેવા કેવા ફાયદા થશે.

App Store

40 વર્ષ જૂની સિસ્ટમના અંતનું કારણ

ભારતીય રેલવેની વર્તમાન ‘પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ’ (PRS) ની શરૂઆત વર્ષ 1986માં કરાઈ હતી. છેલ્લા 40 વર્ષમાં આ સિસ્ટમમાં સમય-સમય પર નાના-મોટા ફેરફાર ચોક્કસ કરાયા છે, પરંતુ તેનું મૂળ માળખું એ જ જૂનું રહ્યું હતું. 

વર્ષ 2002માં રેલવેએ ઓનલાઇન ટિકિટ બુકિંગની સુવિધાની શરૂઆત કરી હતી, જેને બહોળો પ્રતિસાદ મળ્યો. હાલ રેલવેની કુલ ટિકિટોમાંથી લગભગ 88% ટિકિટો હવે ઓનલાઈન માધ્યમથી બુક થાય છે. આમ છતાં મુસાફરોની જંગી સંખ્યાને પહોંચી વળવા માટે જૂની સિસ્ટમ ટૂંકી પડી રહી હતી, જેના કારણે આ મોટા પરિવર્તનની જરૂરિયાત ઊભી થઈ છે.

નવા પ્લેટફોર્મની ખાસિયતઃ સર્વર ક્યારેય નહીં થાય સ્લો

તહેવારોની સિઝન હોય કે પછી સવારે 11 વાગ્યે તત્કાલ ટિકિટ બુક કરવાનો સમય, સામાન્ય રીતે મુસાફરોને વેબસાઇટ ધીમી પડવાની, પેમેન્ટ અટકી જવાની કે સર્વર ડાઉન થવાની ફરિયાદો રહેતી હોય છે. નવી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં આ તમામ સમસ્યાઓ ઉકેલાઈ જશે. આ નવી સિસ્ટમ અત્યંત આધુનિક ક્લાઉડ-બેઝ્ડ ટેકનોલોજી પર આધારિત છે, જેની પ્રોસેસિંગ ક્ષમતા જૂની સિસ્ટમ કરતા અનેક ગણી વધારે છે, જેને કારણે ટિકિટ બુકિંગ દરમિયાન સર્વર પરનું દબાણ ખૂબ જ ઘટી જશે. પરિણામે, મિનિટોનું કામ સેકન્ડોમાં થશે અને મુસાફરો ઝડપથી ટિકિટ બુક કરી શકશે. 

AI બદલશે ગેમ: 94% ચોકસાઈ સાથે વેઇટિંગ ટિકિટની આગાહી

આ નવી રિઝર્વેશન સિસ્ટમનું સૌથી આકર્ષક અને મહત્ત્વપૂર્ણ પાસું છે- AI આધારિત ટિકિટ કન્ફર્મેશન પ્રિડિક્શન (Ticket Confirmation Prediction). અત્યાર સુધી જ્યારે મુસાફરોને વેઇટિંગ ટિકિટ મળતી હતી, ત્યારે તે કન્ફર્મ થશે કે નહીં તેની માત્ર અટકળો જ લગાવાતી હતી. અગાઉ રેલવેની સિસ્ટમમાં આ આગાહી કરવાની ચોકસાઈ માત્ર 53% જેટલી જ હતી.

નવી સિસ્ટમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ટિકિટ કન્ફર્મ થવાની સંભાવનાની ચોકસાઈ 53%થી વધારીને સીધી 94% સુધી પહોંચાડી દેવાઈ છે. તેનો અર્થ એ કે મુસાફરો અગાઉથી જ જાણી શકશે કે તેમની વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થવાની કેટલી સંભાવના છે, જેથી તેઓ તેમની મુસાફરીનું આયોજન કોઈ પણ જાતની અનિશ્ચિતતા વગર વધુ સારી રીતે કરી શકશે.

RailOne એપ્લિકેશન: રેલવેનું નવું ઓલ-ઇન-વન હથિયાર

રેલવેની આ ડિજિટલ વ્યૂહરચનાના કેન્દ્રમાં તેની નવી એપ્લિકેશન RailOne છે. જુલાઈ 2025માં લોન્ચ થયેલી આ એપ માત્ર એક વર્ષ કરતા ઓછા સમયમાં 3.5 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે. આ એપ દ્વારા રોજ અંદાજે 9.29 લાખ ટિકિટો બુક થાય છે, જેમાં 7.2 લાખ અનરિઝર્વ્ડ (જનરલ) અને 2.09 લાખ રિઝર્વ્ડ ટિકિટો સામેલ છે.

આ એપ્લિકેશન માત્ર ટિકિટ બુક કરવા પૂરતી સીમિત નથી, પરંતુ તે મુસાફરોની સાચી સાથીદાર છે. તેની મદદથી મુસાફરો નીચે મુજબની સેવાઓ આંગળીના ટેરવે મેળવી શકે છે.

- ઝડપી ટિકિટ બુકિંગ અને સરળ કેન્સલેશન પ્રક્રિયા.

- ટ્રેનનું લાઈવ લોકેશન (Live Train Tracking) અને સ્ટેટસ.

- પ્લેટફોર્મ નંબર અને કોચ પોઝિશનની સચોટ માહિતી.

- કોઈપણ અસુવિધાના કિસ્સામાં ઓનલાઈન ફરિયાદ નોંધાવવાની સુવિધા.

સિસ્ટમમાં ફેરફાર વખતે મુસાફરોને કોઈ તકલીફ નહીં 

આટલી મોટી સિસ્ટમ બદલતી વખતે મુસાફરોને ટિકિટ બુકિંગમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રેલવે મંત્રાલય સંપૂર્ણ સજ્જ છે. તાજેતરમાં જ રેલ ભવન ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી. રેલવે મંત્રાલયે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે નવી સિસ્ટમ લાગુ કરતી વખતે સામાન્ય જનતાને કોઈ તકલીફ ભોગવવી ન પડવી જોઈએ. આ જ કારણસર ઓગસ્ટથી તમામ ટ્રેનોને એકસાથે બદલવાને બદલે તબક્કાવાર રીતે (Phase-wise) નવી સિસ્ટમમાં સ્થાનાંતરિત કરાશે.