ભારત સરકારે ત્રણ દેશોના નાગરિકોને લઈ પાસપોર્ટ નિયમોમાં કર્યો મોટો ફેરફાર, ગૃહ મંત્રાલયે જાહેર કર્યું નોટિફિકેશન

સોર્સ : gstv
ભારત સરકારે ત્રણ દેશોના નાગરિકોને લઈ પાસપોર્ટ નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 18 મે, 2026ના રોજ સત્તાવાર નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જો ભારતની નાગરિકતા જોઈતી હોય તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નાગરિકોએ ફરજિયાત પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે અથવા તેની વિગતો જાહેર કરવી પડશે.
CAA હેઠળ નાગરિકતા મેળવનારાઓ માટે નિયમો બદલાયા
વાસ્તવમાં કેન્દ્ર સરકારે નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ ભારતની નાગરિકતા મેળવવા માટે અરજી કરનારાઓના નિયમોમાં સુધારો કર્યો છે. આ નિયમો ત્રણેય પડોશી દેશોમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના પ્રવાસીઓ પર લાગુ થશે. નવા નિયમ મુજબ હવે અરજદારોએ એક એફિડેવિટ આપીને જાહેર કરવું પડશે કે તેમની પાસે હાલમાં અથવા ભૂતકાળમાં આ દેશોનો પાસપોર્ટ હતો કે નહીં.
નવા નિયમોમાં શું કહેવાયું?
- કેન્દ્ર સરકારે નાગરિકતા નિયમો, 2009ની અનુસૂચિ IC (Schedule IC) માં સુધારો કરીને નવો પ્રસ્તાવ નોટિફાઈ કર્યો છે.
- અરજદારે માહિતી આપવી પડશે કે, શું તેમની પાસે ત્રણેય દેશોમાંથી કોઈનો વેલિડ (માન્ય) અથવા એક્સપાયર્ડ (મુદત પૂરી થયેલી) પાસપોર્ટ છે.
- જો અરજદાર પાસે આવો પાસપોર્ટ હોય તો તેમણે તેની સંપૂર્ણ માહિતી આપવી પડશે; જેમ કે પાસપોર્ટ નંબર, જારી કરાયાની તારીખ અને સ્થળ તેમજ એક્સપાયરી ડેટ.
- અરજદારોએ નાગરિકતાની મંજૂરી મળ્યાના 15 દિવસની અંદર પોતાના બંને પ્રકારના (વેલિડ અને એક્સપાયર્ડ) પાસપોર્ટ સંબંધિત સિનિયર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ અથવા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ પાસે સરેન્ડર કરવાની સંમતિ આપવી પડશે.


