VIDEO: "બધા 'નારાઝ ફૂવાઓ'ને ભારતે જડબાતોડ જવાબ આપ્યો!" Gen-Z સાથેની વાતચીતમાં PM મોદીનો વિપક્ષ પર સૌથી મોટો પ્રહાર!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ અને આજની યુવા પેઢી (Gen-Z) સાથે સંવાદ સાધતા વિરોધ પક્ષો અને નકારાત્મક માનસિકતા ધરાવતા લોકો પર જોરદાર પ્રહાર કર્યા છે. તેમણે વિકાસ કાર્યોનો અંધવિરોધ કરતા જૂથોની સરખામણી લગ્નપ્રસંગમાં નાની-નાની વાતે મોં ફુલાવીને બેસી જતા 'નારાઝ ફૂવા' સાથે કરી હતી. વડાપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત આવા લોકોના વિરોધથી ડર્યા વગર સતત આગળ વધી રહ્યો છે અને દેશ માટે જે જરૂરી છે તે કરવામાં ભારતને કોઈ રોકી શકશે નહીં.
સમાજમાં બે પ્રકારના લોકો: એક રાષ્ટ્ર નિર્માતા અને બીજા 'નારાઝ ફૂવા'
વિદ્યાર્થીઓને સંબોધતા PM મોદીએ જણાવ્યું કે, "જ્યારે તમે આ કેમ્પસમાંથી બહાર નીકળશો ત્યારે તમારો સામનો એક નવી દુનિયા સાથે થશે. ત્યાં તમને બે પ્રકારના લોકો જોવા મળશે. એક એવા લોકો હશે જે સમાજની શક્તિને સકારાત્મક રીતે રાષ્ટ્રની તાકાતમાં ફેરવે છે. જ્યારે બીજા એવા લોકો હશે જે કોઈ પણ સારું કામ શરૂ થતાં જ 'નારાઝ ફૂવા' બની જાય છે. તેમનું એકમાત્ર મનપસંદ કામ દરેક વાતનો વિરોધ કરવાનું જ હોય છે અને તેમનો એક જ ડાયલોગ હોય છે— 'આની શું જરૂર છે?'"
સ્ટેચ્યૂ ઓફ યુનિટી, બુલેટ ટ્રેનથી UPI સુધી... દરેક બાબતનો કર્યો વિરોધ
વિપક્ષી માનસિકતા પર કટાક્ષ કરતા વડાપ્રધાને યાદ અપાવ્યું કે, "જ્યારે અમે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા (સ્ટેચ્યૂ ઓફ યુનિટી) બનાવી રહ્યા હતા, ત્યારે આ 'ફૂવાઓ'એ કહ્યું હતું કે આની શું જરૂર છે? જ્યારે અમે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પર કામ શરૂ કર્યું, ત્યારે પણ તેમણે એ જ સવાલ ઉઠાવ્યો. જ્યારે અમે દેશમાં UPI ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાગુ કરી, ત્યારે આ જ લોકો પૂછતા હતા કે તેની શું જરૂર છે? જ્યારે સંસદની નવી ભવ્ય ઇમારત બની કે શહીદ વીર સૈનિકોના માનમાં સ્મારક બનાવવામાં આવ્યું, ત્યારે પણ આ લોકો મેદાનમાં આવીને વિરોધ કરવા લાગ્યા હતા."
તેમણે ઉમેર્યું કે, "પરંતુ આજે સમગ્ર ભારતે આવા તમામ 'નારાઝ ફૂવાઓ'ને પોતાના કામથી જડબાતોડ જવાબ આપી દીધો છે."
'માઈ-બાપ' કલ્ચર સામે મોદી ચટ્ટાન બનીને ઊભો છે
વડાપ્રધાને આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, "હું સારી રીતે જાણું છું કે સત્યની હુંકાર આગળ અસત્યનો અવાજ ક્યારેય ટકી શકતો નથી. આ મોદી છે, જે જૂના 'માઈ-બાપ' કલ્ચરના હિમાયતીઓ સામે એક મજબૂત ચટ્ટાન બનીને ઊભો છે. મારામાં હિંમત છે એટલે મેં ભૂતકાળમાં જે કહ્યું હતું તે આજે યાદ અપાવી રહ્યો છું અને ખુલ્લા દિલે મારું રિપોર્ટ કાર્ડ લઈને તમારી વચ્ચે આવ્યો છું."
તેમણે વર્ષ 2013ના સમયને યાદ કરતા કહ્યું કે, તે સમયે જ્યારે તેમણે 'મેડ ઇન ઇન્ડિયા'ની વાત કરી હતી ત્યારે તત્કાલીન ઇકોસિસ્ટમના લોકો તેને સમજી શક્યા નહોતા અને મજાક ઉડાવતા હતા. જોકે, આજે આખું વિશ્વ 'મેક ઇન ઇન્ડિયા'ની બ્રાન્ડ વેલ્યુ અને તાકાત જોઈ રહ્યું છે.

