બમણી કિંમતે યુરીયા ખરીદવાની સમસ્યાનો ઉકેલ લાવવા ભારત અને રશિયા સાથે મળીને બનાવી રહ્યું છે મોટો પ્લાન!

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી માત્ર ઓઇલ અને ગેસ જ નહીં, પરંતુ ખાતરની સપ્લાયમાં પણ મોટી મુશ્કેલીઓ ઊભી થઈ છે. ભારત હાલમાં યુરીયા માટે મધ્ય પૂર્વના દેશો પર નિર્ભર છે, પરંતુ યુદ્ધના કારણે સપ્લાય ખોરવાતા ભારતને બમણી કિંમતે યુરીયા ખરીદવાની ફરજ પડી રહી છે. આ ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવા માટે ભારત હવે રશિયા સાથે મળીને એક મોટો પ્લાન બનાવી રહ્યું છે.
બે વર્ષમાં પ્લાન્ટ તૈયાર કરવાની તૈયારી
ભારત અને રશિયા અંદાજે 2 અબજ ડૉલરના ખર્ચે રશિયાના ટોલિયાટ્ટી શહેરમાં એક વિશાળ યુરીયા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ રશિયાની યુરાલકેમ અને ભારતની ઈન્ડિયન પોટાશ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ(RCF) અને નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ(NFL)ના સંયુક્ત સાહસ દ્વારા સાકાર કરવામાં આવશે. આ પ્લાન્ટ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જવાની શક્યતા છે અને તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 20 લાખ ટન જેટલી હશે, જે ભારત માટે ખાતરના નિશ્ચિત સ્ત્રોત તરીકે કામ કરશે.
25 લાખ મેટ્રિક ટન યુરીયાની આયાત
તાજેતરના અહેવાલો મુજબ, મધ્ય પૂર્વમાં સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. આ સ્થિતિમાં ભારતે એક જ ટેન્ડરમાં વિક્રમી 25 લાખ મેટ્રિક ટન યૂરીયા આયાત કરવા માટે સંમતિ આપી છે, જેની કિંમત બે મહિના પહેલાની સરખામણીએ લગભગ બમણી છે. ભારત દુનિયાનો સૌથી મોટો યુરીયા આયાતકાર દેશ છે અને દેશમાં યુરીયાનું ઉત્પાદન કુદરતી ગેસ પર નિર્ભર છે, જેનો મોટો હિસ્સો મધ્ય પૂર્વમાંથી આવે છે.
ખાતરની સપ્લાય સુનિશ્ચિત કરવા વ્યૂહનીતિ
ભારતે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે બજારમાંથી મોટો જથ્થો ખરીદી લીધો છે, જેના કારણે અન્ય દેશો માટે હવે યુરીયાની અછત સર્જાઈ શકે છે. રેટિંગ એજન્સી ICRAના અંદાજ મુજબ, 2030 સુધીમાં ભારતની યુરીયા આયાત પરની નિર્ભરતા વધીને 30 ટકા થઈ શકે છે. આ સંભવિત સંકટને પહોંચી વળવા ભારત હવે રશિયા, બેલારૂસ અને મોરોક્કો જેવા દેશો સાથે મળીને ખાતરની સપ્લાય સુનિશ્ચિત કરવાના પ્રયાસો તેજ કરી રહ્યું છે.

