તમારી થાળીમાં આવતા ફળ-શાકભાજી કેટલા સુરક્ષિત? સરકારના આંકડાથી થયો ખુલાસો

બજારમાંથી ફળ અને શાકભાજી ખરીદતી વખતે દરેક સામાન્ય માણસના મનમાં એ ડર ચોક્કસ હોય છે કે, તેમાં ખતરનાક જંતુનાશક દવાઓ (Pesticides) તો નથી ભળેલી ને? લોકસભામાં કેન્દ્રીય કૃષિ મંત્રી દ્વારા આપવામાં આવેલા આંકડાઓએ આ ચિંતા અંગે મહત્ત્વની વિગતો સામે મૂકી છે.
જંતુનાશક દવાઓની તપાસના આંકડા
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકસભામાં જણાવ્યું કે:
કુલ સેમ્પલ તપાસ: છેલ્લા 3 વર્ષોમાં (2023-24થી 2025-26) રાષ્ટ્રીય સ્તરે 70,652 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી.
અસુરક્ષિત સેમ્પલ: આમાંથી માત્ર 3.1%(2,223 સેમ્પલ)માં જંતુનાશકોના અવશેષો FSSAIની નક્કી કરેલી સુરક્ષિત સીમા (MRL - Maximum Residue Limit)થી વધુ મળી આવ્યા.
સુરક્ષિત સેમ્પલ: 96.9% સેમ્પલ સંપૂર્ણપણે સુરક્ષિત મળી આવ્યા છે. આનો અર્થ એ બિલકુલ નથી કે, બજારની દરેક શાકભાજી ઝેરી છે. 2005થી ચાલી રહેલી MPRNL મોનિટરિંગ સિસ્ટમ હેઠળ GPS લોકેશન દ્વારા ખેતરો સુધી ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી સુરક્ષિત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપી શકાય.
ફળ-શાકભાજીની નિકાસ અને આયાત
ભારત ફળ અને શાકભાજીનો શુદ્ધ નિકાસકાર (Net Exporter) બની રહ્યો છે.
નિકાસ: વર્ષ 2016-17માં નિકાસ $2.45 બિલિયન (Billion) હતી, જે 2025-26માં વધીને $3.93 બિલિયન (Billion) લગભગ 58.2 લાખ ટન થઈ ગઈ છે.
આયાત: જોકે, વધતી સ્થાનિક માંગને કારણે આયાત પણ $1.78 બિલિયન(Billion)થી વધીને $3.82 બિલિયન(Billion) પહોંચી છે.
ડિજિટલ સર્વે અને અન્ય કૃષિ સુધારા
ડિજિટલ ક્રોપ સર્વે: પાક ઉત્પાદનના સાચા અંદાજ માટે ડિજિટલ જનરલ ક્રોપ એસ્ટીમેશન સર્વે('Digital General Crop Estimation Survey') હવે 23 રાજ્યોમાં લાગુ છે. જેમાં પાક લણણીના આંકડા મોબાઇલ એપ અને GPS ફોટો સાથે નોંધવામાં આવે છે. હિતધારકોના સૂચનો બાદ સરકારે ડ્રાફ્ટ સુગર્સ ઑર્ડર 2026(Draft Sugars Order, 2026) પરત ખેંચી લીધો છે.
ઓઇલ પામ મિશન: ખાદ્ય તેલની આયાત ઘટાડવા માટે શરૂ કરાયેલા નેશનલ મિશન હેઠળ અત્યાર સુધીમાં 2.98 લાખ હેક્ટરમાં ઓઇલ પામની ખેતી શરૂ થઈ ચૂકી છે, જેના પરિણામો આગામી 4-5 વર્ષોમાં પૂર્ણ ઉત્પાદન સાથે દેખાશે.
રબર ઉત્પાદન: વર્ષ 2025-26માં ભારતે 9.05 લાખ ટન રબરનું ઉત્પાદન કર્યું, જ્યારે 4.59 લાખ ટન આયાત કરવું પડ્યું. આંતરરાષ્ટ્રીય બજારની અસરોથી રબરની સરેરાશ કિંમતો ₹197થી વધીને ₹253 પ્રતિ કિલો સુધી પહોંચી છે.
આંકડા સ્પષ્ટ કરે છે કે, ડરવાને બદલે જાગરૂક રહેવાની જરૂર છે. સરકારનું ધ્યાન માત્ર જંતુનાશકોના ઉપયોગને રોકવા પર જ નહીં, પરંતુ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ(IPM) દ્વારા સુરક્ષિત ઉત્પાદન, ડિજિટલ મોનિટરિંગ અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા પર છે.

