રાયગઢના આંબેનાલી ઘાટ પર ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા 8 લોકોના મોત, દૂરબીનથી મૃતદેહો શોધ્યા

મહારાષ્ટ્રના મહાબળેશ્વર અને પોલાદપુર વચ્ચે આવેલા ભયાનક આંબેનાલી ઘાટ પર એક દુ:ખદ માર્ગ અકસ્માત થયો. કોંકણ પ્રદેશની યાત્રા પરથી પરત ફરતા પ્રવાસીઓને લઈ જતી એક કારે સ્ટીયરીંગ પરથી નિયંત્રણ ગુમાવી દીધી અને અંદાજે 500 થી 700 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ. આ ભયાનક અકસ્માતમાં આઠ યુવાનોના મોત થયા હોવાની આશંકા છે, જે બધા સતારા જિલ્લાના રહેવાસી છે. રાહત અને બચાવ કામગીરીમાં રોકાયેલા ટીમોએ અત્યાર સુધીમાં બે મૃતદેહ બહાર કાઢ્યા છે.
રવિવારની મધ્યરાત્રિએ દાભેલી ગામ નજીક આ ભયંકર અકસ્માત થયો
પ્રાથમિક અહેવાલો અનુસાર, રવિવારની મધ્યરાત્રિએ દાભેલી ગામ નજીક આ ભયંકર અકસ્માત થયો હતો. દુર્ઘટનાગ્રસ્ત સ્કોર્પિયો જીપ સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના અસગાંવ ગામની હોવાનું જાણવા મળે છે. કોંકણ ક્ષેત્રમાં રજાઓ ગાળીને વહેલી સવારે સતારા પરત ફરી રહ્યા હતા, ત્યારે ડ્રાઇવરે આંબેનાલી ઘાટ પર વાહન પરનો કાબુ ગુમાવ્યો, જેના કારણે તે સીધી ખીણમાં ખાબકી ગઈ.
1500 ફૂટ ઊંડી ખીણમાં દૂરબીન વડે હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન
અકસ્માતની જાણ થતાં જ પોલાદપુર પોલીસની ટીમ સહિત મહાબલેશ્વર ટ્રેકર્સ, પ્રતાપગઢ રેસ્ક્યુ ટીમ, સિસ્કેપ મહાડ પોલાદપુર, આપદા મિત્ર અને સ્થાનિક લોકોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ખીણ ખૂબ જ ઊંડી હોવાના કારણે શરૂઆતમાં બચાવ દળે દૂરબીનની મદદથી તપાસ શરૂ કરી હતી, જેમાં પહેલો મૃતદેહ દેખાયો હતો. અતિશય મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે રેસ્ક્યુ ટીમને આશરે 500થી 700 ફૂટની ઊંડાઈએથી 2 મૃતદેહો બહાર કાઢવામાં સફળતા મળી છે.
તમામ મૃતકો સતારાના રહેવાસી
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સ્કોર્પિયો ગાડીમાં સવાર તમામ પ્રવાસીઓ સતારા, આસગાંવ અને કોરેગાંવ વિસ્તારના રહેવાસી હતા. હાલમાં પોલીસ અને સ્થાનિક બચાવ દળ દ્વારા અકસ્માતગ્રસ્ત ગાડી અને બાકીના અન્ય યુવકોના મૃતદેહોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

