સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય, ચુકાદામાં વિલંબ રોકવા તમામ હાઈકોર્ટને કડક આદેશ

ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક અને મોટો નિર્ણય લીધો છે. ચુકાદો સંભળાવવામાં થતા વિલંબને રોકવા માટે સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઈકોર્ટને બંધનકર્તા નિર્દેશો જાહેર કર્યા છે. મળતી માહિતી મુજબ, સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ 142 હેઠળ પોતાની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને આ મોટો આદેશ જારી કર્યો છે. આ ચુકાદો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ પણ કરી છે.
શું છે સમગ્ર મામલો?
સામે આવેલી માહિતી અનુસાર, ભારતના ચીફ જસ્ટિસ (CJI) સૂર્ય કાંતની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની બેન્ચે તમામ હાઈકોર્ટને ત્રણ મહિનાની અંદર પેન્ડિંગ ચુકાદાઓ સંભળાવવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, જામીન અંગેનો આદેશ જે-તે દિવસે અથવા ચુકાદો આવ્યાના બીજા જ દિવસે સંભળાવી દેવો જોઈએ. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને પણ નિયમિત જામીન આદેશોની તાત્કાલિક માહિતી આપવા માટે નિર્દેશ આપ્યો છે.
'ચુકાદાઓ 24 કલાકની અંદર વેબસાઈટ પર અપલોડ કરો'
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, જે અંડરટ્રાયલ કેદીઓને (જેમના પર કેસ ચાલી રહ્યો છે) જામીન મળી ગયા છે, તેમને તમામ ઔપચારિકતાઓ પૂરી કરીને તે જ દિવસે જેલમાંથી મુક્ત કરવા જોઈએ. અદાલતે વધુમાં ઉમેર્યું કે, તમામ ચુકાદાઓ જાહેર થયાના 24 કલાકની અંદર હાઈકોર્ટની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવાના રહેશે. ચુકાદાનો મુખ્ય ભાગ જે દિવસે સંભળાવવામાં આવશે, તે જ દિવસને ચુકાદો આપ્યાની સત્તાવાર તારીખ માનવામાં આવશે.
'કોઈપણ સંસ્થા પર આક્ષેપ કરવો અમારો હેતુ નથી'
સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ આદેશ દરમિયાન નોંધ્યું હતું કે, હાઈકોર્ટ એ પ્રાથમિક સંસ્થાઓ છે જ્યાં હજારો લોકો ન્યાયની આશા સાથે આવે છે, તેથી સમયસર ચુકાદો આપવો ખૂબ જ જરૂરી છે. જો કે, સુપ્રીમ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્દેશો આપવાનો હેતુ કોઈ જજ કે ન્યાયિક સંસ્થા પર લાંછન (આક્ષેપ) લગાવવાનો બિલકુલ નથી, પરંતુ ન્યાય પ્રક્રિયાને વધુ ઝડપી અને પારદર્શક બનાવવાનો છે.

