WhatsAppના નવા Username ફીચર પર ભારત સરકારનો બ્રેક, Metaને 3 દિવસમાં જવાબ આપવા આદેશ

વોટ્સઅપના નવા 'યુઝરનેમ' ફીચર સામે ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારે તેની પેરેન્ટ કંપની મેટાને નોટિસ મોકલીને આ ફીચરનું લોન્ચિંગ હાલ પૂરતું 'હોલ્ડ' પર રાખવા અથવા અટકાવી દેવા આદેશ કર્યો છે. આ મામલે સરકાર સાથે સંપૂર્ણ ચર્ચા ન થાય ત્યાં સુધી તેને લોન્ચ ન કરવા કહેવામાં આવ્યું છે.
3 દિવસમાં જવાબ આપવા અલ્ટીમેટમ
કેન્દ્ર સરકારે મેટા કંપનીને નોટિસનો વિગતવાર જવાબ આપવા માટે 3 દિવસનો સમય આપ્યો છે. સરકાર આ ફીચરના સિક્યોરિટી અને પ્રાઈવસી પાસાઓની બારીકાઈથી તપાસ કરી રહી છે. જો તપાસમાં કોઈ મોટી ખામી જણાશે તો આગામી સમયમાં કંપની સામે વધુ કડક પગલાં લેવાઈ શકે છે.
શું છે આ નવું 'યુઝરનેમ' ફીચર?
આ ફીચર ટેલિગ્રામ એપની જેમ કામ કરે છે. અત્યાર સુધી વોટ્સઅપ પર કોઈ નવી વ્યક્તિ સાથે વાત કરવા માટે મોબાઈલ નંબર શેર કરવો ફરજિયાત હતો. આ ફીચર આવ્યા બાદ યૂઝર્સ પોતાનો મોબાઈલ નંબર છુપાવીને માત્ર એક યુનિક 'યુઝરનેમ' દ્વારા પણ અન્ય લોકો સાથે ચેટ કરી શકશે. કંપનીનો દાવો છે કે આનાથી યૂઝર્સની પ્રાઈવસી વધુ મજબૂત બનશે.
કેમ ચિંતામાં છે ભારત સરકાર?
સરકારને આશંકા છે કે આ ફીચરનો ખોટો ઉપયોગ ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમમાં મોટો વધારો કરી શકે છે. જો કોઈ સ્કેમર અન્ય વ્યક્તિ, પ્રખ્યાત સેલિબ્રિટી કે પ્રતિષ્ઠિત કંપનીના નામે નકલી યુઝરનેમ બનાવી લે, તો સામાન્ય લોકો છેતરાઈ શકે છે. અગાઉ ટેલિગ્રામ પર પણ આવા ફેક પ્રોફાઈલ દ્વારા ઠગાઈના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે.
વોટ્સઅપના CEOએ શું કહ્યું?
વોટ્સઅપના નવા સીઈઓ કુણાલ શાહે સોશિયલ મીડિયા પર લોકોને પોતાના યુઝરનેમ વહેલી તકે રિઝર્વ કરવા અપીલ કરી છે. બીજી તરફ, કંપનીએ બચાવ કરતા જણાવ્યું છે કે દરેક યુઝરનેમ એકદમ યુનિક હશે. કોઈ તેની નકલ ન કરી શકે તે માટે હાઈ-પ્રોફાઈલ નામો પહેલેથી જ બ્લોક રાખવામાં આવશે. આ સિવાય કંપની કોઈ પબ્લિક ડિરેક્ટરી પણ નહીં બનાવે, એટલે કે જેની પાસે તમારું યુઝરનેમ હશે તે જ તમને શોધી શકશે.

