'ગૃહને ગેરમાર્ગે દોરવા બદલ માંફી માગે...', સરકાર રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવશે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમના ભાષણ બાદ ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. રાહુલ ગાંધીએ કરેલા આક્ષેપો બાદ કેન્દ્ર સરકાર હવે તેમની સામે વિશેષાધિકાર હનન પ્રસ્તાવ દાખલ કરવાની યોજના બનાવી રહી છે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આરોપ લગાવ્યો હતો કે, વિપક્ષના નેતા ઘણીવાર ગૃહમાં મનઘડંત અને પાયાવિહોણા આરોપો લગાવે છે. આ ગૃહની ગરિમાને ઘટાડે છે. તેમણે બુધવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ખોટા નિવેદનો આપીને ફરી એકવાર ગૃહને ગેરમાર્ગે દોર્યું છે. તેમને આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમના નિવેદન માટે માફી માંગવા કહેવામાં આવ્યું છે, નહીં તો સરકાર તેમની સામે વિશેષાધિકાર પ્રસ્તાવ રજૂ કરશે.
રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ પ્રસ્તાવ લાવશે સરકાર
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે, 'અમે રાહુલ ગાંધી વિરુદ્ધ ગૃહને ગેરમાર્ગે દોરવા અને પાયાવિહોણા નિવેદનો આપવા બદલ વિશેષાધિકાર ભંગ નોટિસ દાખલ કરવા જઈ રહ્યા છીએ. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી અને કાર્યવાહીના સ્પષ્ટ નિયમો છે. જ્યારે કોઈ સભ્ય બીજા સભ્ય વિરુદ્ધ ગંભીર આરોપ મૂકવા માંગે છે, ત્યારે તેણે નોટિસ આપીને આરોપ સાબિત કરવા જોઈએ. મેં રાહુલ ગાંધીને ગૃહમાં હાજર રહેવા અને તેમણે ઉઠાવેલા મુદ્દાઓ સંદર્ભે આરોપ સાબિત કરવા વિનંતી કરી છે. રાહુલ ગાંધીએ સરકાર અને વડાપ્રધાન વિરુદ્ધ પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવ્યા છે, દાવો કર્યો છે કે વડાપ્રધાને ભારત અને ભારતીય હિતોને વેચી દીધા છે. કયા આધારે? તેમણે નોટિસ વિના હરદીપ સિંહ પુરી વિરુદ્ધ ગંભીર આરોપો લગાવ્યા છે.'
રાહુલ ગાંધીએ સંસદમાં શું-શું કહ્યું?
રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઇલનો કર્યો ઉલ્લેખ
રાહુલ ગાંધીએ સંસદમાં મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, ‘અમેરિકા ભારતના નિર્ણયો કેવી રીતે લઈ શકે? અમારું કૃષિ ક્ષેત્ર અમેરિકા માટે મોદી સરકારે ઓપન કરી દીધું. સરકારે ખેડૂતો વિશે જરાય ન વિચાર્યું. ભારતને વેચીને તેમને શરમ નથી આવતી. અમેરિકાનો ટેરિફ ત્રણ ટકા હતો જે હવે વધીને 18 ટકાએ પહોંચી ગયો છે. પીએમ મોદી ડરી રહ્યા છે.’ આ વાત કરીને રાહુલ ગાંધીએ એપસ્ટિન ફાઈલનો ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદી બે કારણથી કરતા હોવાનો દાવો
રાહુલ ગાંધીએ કહ્યું કે ‘પીએમ મોદી બે કારણોસર ડરી રહ્યા છે જેમાં એક છે એપસ્ટિન. ગૌતમ અદાણી કોઈ સામાન્ય બિઝનેસમેન નથી. તેમની કંપની સામે અમેરિકામાં કેસ છે, પરંતુ તેમનો ટારગેટ પીએમ છે, અદાણી નહીં. આ કંપની ભાજપનું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર છે. અનિલ અંબાણી જેલમાં કેમ નથી? તેનું પણ કારણ એપસ્ટિન ફાઈલ જ છે. હરદીપ સિંહ પુરીનું નામ પણ એમાં છે. તેઓ તો મોદી સરકારમાં મંત્રી છે. તેઓ આ ગૃહના સભ્ય છે.’ આ વાત કરતા જ સંસદીય કાર્યકારી મંત્રી કિરેન રિજિજુએ વાંધો ઊઠાવ્યો હતો.
કેન્દ્ર સરકારે અમેરિકા સામે સરન્ડર કરી દીધું
રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ભારતે તમામ ડેટા અમેરિકાને હેન્ડ ઓવર કરી દીધો છે. દેશના ખેડૂતોનું અમેરિકાના ખેડૂતો સામે સરન્ડર કરાવી દીધું. જે કંઇ થઇ રહ્યું છે તે યોગ્ય નથી. આ ફક્ત પીએમનું સરન્ડર નથી પણ દેશની 140 કરોડની વસતીનું સરન્ડર છે.’
‘અમેરિકા નક્કી કરશે કે ભારત ક્યાંથી ઓઈલ ખરીદશે?’
રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ભારતના લોકો પાસે સૌથી વધુ ડેટા છે. ડેટા સિક્યોરિટી મહત્ત્વની બાબત છે. આપણા લોકોની પ્રતિભા અને વિચારસરણી પર કબજાના પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકા અને ચીનની નજર આપણા ડેટા પર છે. બાંગ્લાદેશ કાપડ ઉત્પાદનોની નિકાસ કરે છે, તો તેના પર શૂન્ય ટેરિફ છે અને આપણી ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી ટેરિફ ભરશે. અમેરિકાની નિકાસ વધી, તો આપણને શું ફાયદો થયો? ટ્રમ્પે ટેરિફ વધાર્યો. શું અમેરિકા નક્કી કરશે કે ભારત ઓઈલ ક્યાંથી ખરીદશે? કોઈ વડાપ્રધાને આવું કર્યું નથી. સુપર પાવરનો યુગ પૂરો થઈ ગયો છે. જો અમેરિકા કહે છે કે તમે અહીંથી ઓઈલ ખરીદી શકતા નથી, તો તેનો અર્થ એ છે કે ઊર્જા ક્ષેત્રનો ઉપયોગ શસ્ત્ર તરીકે થઈ રહ્યો છે. જો અમેરિકા ટેરિફમાં વધારો કરે છે, તો તેનો અર્થ એ છે કે નાણાકીય ક્ષેત્રનો પણ હથિયાર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. સરકારને શરમ આવવી જોઈએ.’

