CBSE મામલે સરકારની મોટી કાર્યવાહી, ચેરમેન રાહુલ સિંહ અને સચિવ હિમાંશુ ગુપ્તાને પદ પરથી હટાવાયા

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ના રી-ઇવેલ્યુએશન (પુનઃમૂલ્યાંકન) પોર્ટલ પર થયેલા મોટા સાયબર હુમલા અને સુરક્ષામાં ક્ષતિના મામલાને ગંભીરતાથી લઈને કેન્દ્ર સરકારે એક મોટું કદમ ઉઠાવ્યું છે. સરકારે તાત્કાલિક અસરથી CBSE ના ચેરમેન રાહુલ સિંહ અને બોર્ડના સચિવ હિમાંશુ ગુપ્તાને તેમના પદ પરથી હટાવી દીધા છે.
ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સેવાઓની ખરીદી અંગે તપાસના આદેશ
બોર્ડના ટોચના અધિકારીઓ પર એક્શન લેવાની સાથે-સાથે સરકારે એક મોટો નિર્ણય પણ કર્યો છે. CBSE દ્વારા ઓન-સ્ક્રીન માર્કિંગ (OSM) સેવાઓની ખરીદી અને તેના ટેન્ડરિંગની પ્રક્રિયાની તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ ટેક્નોલોજીકલ સેવાઓની ખરીદીમાં થયેલી કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ક્ષતિની ઊંડાણપૂર્વક તપાસ કરશે.
રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર થયો હતો મોટો હુમલો
તાજેતરમાં જ CBSE ના રિઝલ્ટ રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર એક મોટો સાયબર એટેક થયો હતો, જેમાં માત્ર 2 મિનિટની અંદર 15 લાખથી વધુ હિટ્સ નોંધાયા હતા. આ ઉપરાંત 1 લાખથી વધુ વખત બોર્ડના સર્વરમાં ઘૂસીને ડેટા ચોરી કરવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સાયબર સુરક્ષા ટીમે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હોવાનો દાવો કર્યો હતો, પરંતુ દેશના આટલા મોટા શિક્ષણ બોર્ડના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થીઓની ગોપનીય માહિતીની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય એક્શન મોડમાં
સૂત્રોના જણાવ્યા અનુસાર, દેશભરના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ડેટા સુરક્ષા સાથે જોડાયેલા આ સંવેદનશીલ મામલામાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી ન લેવાના ભાગરૂપે સરકારે આ આકરી કાર્યવાહી કરી છે. ટોચના અધિકારીઓ પર થયેલી આ કાર્યવાહીથી શૈક્ષણિક અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
નવા અધિકારીઓની નિમણૂક ટૂંક સમયમાં
બોર્ડની કામગીરી પર કોઈ અસર ન પડે અને વિદ્યાર્થીઓની અરજી પ્રક્રિયા સરળતાથી ચાલતી રહે તે માટે સરકાર દ્વારા ટૂંક સમયમાં જ આ મહત્ત્વના પદો પર નવા વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. હાલ પૂરતો બોર્ડનો વહીવટ વચગાળાના વડાને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

