'ભૂલ CBSEની, સજા બાળકની, કમાણી સરકારની', આન્સર સીટ મુદ્દે રાહુલ ગાંધીનો સનસનીખેજ આરોપ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી CBSE(કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ) દ્વારા આન્સર શીટની તપાસમાં પૈસા લેવા પર ખરાબ રીતે ભડક્યા છે. રાહુલ ગાંધીએ આ બાબતને લઈને મોદી સરકારને ઘેરી છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાની નારાજગી વ્યક્ત કરી છે. રાહુલ ગાંધીએ CBSEને ખિસ્સાકાતરુ સુધી કહી દીધું છે. સાથે જ તેને વિદ્યાર્થીઓ સાથે અન્યાય ગણાવ્યો છે. તેમણે CBSE દ્વારા લેવામાં આવી રહેલી ફી અંગે હિસાબ-કિતાબ પણ આપ્યો છે. જ્યારે સ્કેનિંગ ફોનથી થયું હોય, ત્યારે ખોટી માર્કિંગ નક્કી જ છે. અને તેને સુધરાવવાની કિંમત બાળક ચૂકવી રહ્યું છે.
રાહુલ ગાંધી ગુસ્સાથી લાલચોળ
રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખતા કહ્યું કે, 'ખિસ્સાકાતરૂઓથી સાવધાન, આજે તેઓ CBSEની અંદર બેઠા છે. CBSEની ભૂલને કારણે માર્ક્સ ખોટા આવ્યા તો તમને શું મળે છે? એક બિલ જેમાં ડિજિટલ સ્કેન કોપીના 100 રૂપિયા પ્રતિ વિષય લાગે છે. વળી રી-ટોટલિંગના 100 રૂપિયા પ્રતિ પેપર લાગે છે. આ સિવાય પુનઃમૂલ્યાંકનના 25 રૂપિયા પ્રતિ પ્રશ્ન લાગે છે.'
'ભૂલ CBSEની, સજા બાળકની, કમાણી સરકારની'
'વળી, પોતાની જ આન્સર શીટની સાચી તપાસ માટે એક બાળકને 2000 રૂપિયા સુધી ભરવા પડી શકે છે. વિચારો, જ્યારે 4 લાખ બાળકોએ આવી અરજીઓ કરી છે. તો CBSE કેટલી કમાણી કરી રહ્યું છે. જ્યારે સ્કેનિંગ ફોનથી થયું હોય, ખોટું માર્કિંગ નક્કી જ છે. અને તેને સુધરાવવાની કિંમત બાળક ચૂકવી રહ્યું છે. ભૂલ CBSEની, સજા બાળકની, કમાણી સરકારની. રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે શિક્ષણને સેવા નહીં, કારોબાર બનાવી દેવામાં આવે ત્યારે ભૂલ સુધારવામાં નથી આવતી, વધારવામાં આવે છે. અને આની સૌથી મોટી કિંમત આપણા બાળકો ચૂકવી રહ્યા છે. પોતાના સમયથી, પોતાના આત્મવિશ્વાસથી, અને પોતાના ભવિષ્યથી.'
ટેન્ડરમાં ચૂપચાપ આ બધું હટાવી દેવામાં આવ્યું!
'સીબીએસઈના મે 2025ના ટેન્ડરમાં ઉત્તરવહીઓને સ્વચાલિત રોબોટિક સ્કેનરથી સ્કેન કરવાની શરત હતી, જેમાં બાઈન્ડિંગ સુરક્ષિત રાખવાની હતી અને ન્યૂનતમ 300 રિઝોલ્યુશન પર સ્કેનિંગ આવશ્યક હતું. ઓગસ્ટમાં ફરીથી જાહેર કરાયેલા ટેન્ડરમાં ચૂપચાપ આ બધું હટાવી દેવામાં આવ્યું. 'સ્કેનર' શબ્દ સામાન્ય થઈ ગયો. રિઝોલ્યુશન ઘટીને 200 ડીપીઆઈ થઈ ગયું. હવે આપણને ખબર પડી ગઈ છે કે વ્યવહારમાં તેનો અર્થ શું હતો. આ ખુલ્લું પડી ગયું છે કે COEMPT એ મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને ઉત્તરવહીઓને સ્કેન કરી.'
'ધૂંધળી નકલો, ગાયબ પાના, સ્કેન ન થયેલી પુસ્તિકાઓ - આ 'ભૂલો' નથી. આ એક વેન્ડરના હિતમાં લખાયેલા કોન્ટ્રાક્ટનું અપેક્ષિત પરિણામ છે. આ છેતરપિંડી છે. અને દરેક બાળક જેના ગુણ ખોટી રીતે મૂલ્યાંકન કરવામાં આવ્યા છે, તે તેનો ભોગ બન્યું છે. આજે સવારે વડાપ્રધાન પાસે કેરીઓ વિશે બોલવાનો સમય હતો. તેમની પાસે તે 18.5 લાખ બાળકો વિશે બોલવાનો સમય નથી જેમની ઉત્તરવહીઓને ફોનથી સ્કેન કરવામાં આવી હતી. ધર્મેન્દ્ર પ્રધાનજી હજુ પણ પોતાના પદ પર છે. મોદીજીનું મૌન હવે ઉદાસીનતા નથી. આ મિલીભગત છે.'

