VIDEO: 'ઇતિહાસમાં પહેલીવાર સરકારે માંગી ચર્ચા ને વિપક્ષ ભાગ્યો!': NEET મુદ્દે સંસદમાં ઘમાસાણ વચ્ચે કેમ ચોંકી ગયા કિરેન રિજિજૂ?
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શન સાથે જોડાયેલા મુદ્દા પર સંસદમાં ચર્ચા કરવાને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે ઘર્ષણ યથાવત્ છે. સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિપક્ષ પર ચર્ચાથી ભાગવાનો આક્ષેપ લગાવ્યો છે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને કહ્યું છે કે, સરકાર વિસ્તૃત ચર્ચા માટે તૈયાર છે, અને તે વિપક્ષના તમામ સવાલોના જવાબ આપશે.
સંસદમાં ઘમાસાણ યથાવત્
એક તરફ વિપક્ષ વિદ્યાર્થીઓના પ્રદર્શન, કથિત પોલીસ કડકાઈ અને NEET પેપર લીક અંગે કેન્દ્રીય ગૃહમંત્રી પાસે જવાબ માંગતા ગૃહમાં હંગામો કરી રહ્યો છે, તો બીજી તરફ સરકારનો દાવો છે કે, તે દરેક સવાલનો જવાબ આપવા અને આ મુદ્દા પર ખુલ્લી તથા વિસ્તૃત ચર્ચા માટે તૈયાર છે.
'વિપક્ષ ચર્ચાથી પાછળ હટી રહ્યો છે'
સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, 'હું આ વાતથી ખૂબ જ નિરાશ છું કે, સરકાર સંસદમાં NEET પરીક્ષા સંબંધિત મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ ચર્ચાથી પાછળ હટી રહ્યો છે. પોતાના રાજકીય જીવનમાં તેમણે પહેલીવાર એવી સ્થિતિ જોઈ છે, જ્યાં સરકાર પોતે ગૃહમાં ચર્ચાની માંગ કરી રહી છે, અને વિપક્ષ તેનાથી ભાગી રહ્યો છે. સંસદીય લોકશાહીમાં વિપક્ષ ચર્ચાની માંગ કરે છે, અને સરકાર જવાબ આપે છે, પરંતુ અહીં સ્થિતિ ઊલટી છે.'
અમિત શાહે લોકસભા અધ્યક્ષને કેમ લખ્યો પત્ર?
રિજિજૂના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને વિપક્ષના નેતાઓને ચર્ચા માટે મનાવવાનો આગ્રહ કર્યો છે. શાહે પત્રમાં સ્પષ્ટ કર્યું કે, તે ગૃહમાં હાજર રહેશે અને વિપક્ષના દરેક સવાલનો જવાબ આપશે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો કે, સંસદના વર્તમાન સત્રમાં 'જાહેર પરીક્ષા સુધારા વિધેયક, 2026' પર પહેલાથી જ ચર્ચા થઈ ચૂકી છે, પરંતુ તે સમયે વિપક્ષના કોઈ પણ સભ્યએ NEET પરીક્ષા સંબંધિત આ મુદ્દો ઉઠાવ્યો ન હતો.
વિપક્ષની માંગણી શું છે?
વિપક્ષ 20 જુલાઈના રોજ જંતર-મંતર પાસે વિદ્યાર્થીઓના વિરોધ માર્ચ દરમિયાન પોલીસની કથિત કડકાઈ અને પેલેટ ગનના ઉપયોગના આક્ષેપો પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે સત્તાવાર જવાબની માંગ કરી રહ્યો છે.

