VIDEO: બિલાસપુર એરપોર્ટ પર પ્લેનનું ટાયર ફાટતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, લેન્ડિંગ વખતે બની હતી ઘટના
છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ શુક્રવારે(28 ઓગસ્ટ) પર એક મોટી દુર્ઘટના ટળી હતી. જ્યાં દિલ્હીથી બિલાસપુર આવેલી એલાયન્સ એરની ફ્લાઇટનું ટાયર લેન્ડિંગ દરમિયાન ફાટ્યું હતું. ફ્લાઈટમાં 37 મુસાફરો અને ચાર કેબિન ક્રૂ સભ્યો સવાર હતા. આ ઘટના બાદ તમામ 41 લોકોને ફ્લાઈટમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં સદનસીબે કોઈને ઈજાના અહેવાલ નથી.
બિલાસપુર એરપોર્ટ પર લેન્ડિંગ વખતે પ્લેનનું ટાયર ફાટ્યું
આ દુર્ઘટના 28 ઓગસ્ટની સવારે 11 વાગ્યાની આસપાસ બની હતી. એલાયન્સ એરની ફ્લાઇટ 9I613 દિલ્હીથી બિલાસપુર પહોંચી હતી, ત્યારે લેન્ડિંગ દરમિયાન વિમાનના ડાબા ટાયરમાં પંચર પડી ગયું હતું. આ પછી એરપોર્ટ પર તાત્કાલિક જરૂરી સલામતીના પગલાં લેવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના બાદ વિમાનમાં સવાર મુસાફરો અને ક્રૂ સભ્યોને રનવે પરથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. બધાને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા. એરલાઇનના એક અધિકારીએ ઘટનાની પુષ્ટિ કરી છે.
41 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
વિમાનના ટાયરમાં ખામી સર્જાતા તેની આગળની ઉડાન રદ કરવામાં આવી હતી. આ ફ્લાઈટ બિલાસપુરથી રવાના થવાની હતી. ઘટના બાદ ફ્લાઈટમાં ટેકનિકલ નિરીક્ષણ અને જરૂરી પ્રક્રિયાઓ ચાલી રહી છે. એરલાઈને મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપી હતી અને તમામ મુસાફરો અને ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની ઈજાના અહેવાલ નથી.
તપાસ બાદ સંપૂર્ણ વિગતો બહાર આવશે
લેન્ડિંગ દરમિયાન વિમાનનું ટાયર ફાટવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. એરલાઈન અને સંબંધિત અધિકારીઓ આ બાબતની તપાસ કરી રહ્યા છે. આ ઘટના ટેકનિકલ ખામીને કારણે બની હતી કે લેન્ડિંગ દરમિયાન કોઈ અન્ય કારણસર થઈ હતી તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પ્રયાગરાજ જતી ફ્લાઇટ રદ
વિમાનમાં ટેકનિકલ સમસ્યાના કારણે બિલાસપુરથી પ્રયાગરાજ જતી ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ હતી. જેમાં ટેકનિકલ કારણોસર ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જેના કારણે મુસાફરોને અસુવિધા થઈ હતી. જો કે, મુસાફરોને ફ્લાઈટ રદ કરવા અંગે જાણકારી આપવામાં આવી હતી.
ઘટના બાદ એરલાઈન અને સંબંધિત અધિકારીઓ વિમાનનું ટેકનિકલ નિરીક્ષણની કાર્યવાહી હાથ ધરી હતી. ટાયર ફાટવાનું કારણ અને ટેકનિકલ ખામીની સ્થિતિ નિરીક્ષણ પૂર્ણ થયા પછી જ સ્પષ્ટ થશે.

