વિદેશ મંત્રી જયશંકરનો અમેરિકા પ્રવાસ: બેસેન્ટ અને રુબિયો સાથે કરી મુલાકાત, ટ્રેડ ડીલને અંતિમ રુપ આપવાની કવાયત!

વિદેશ મંત્રી એસ. જયશંકર હાલ અમેરિકાના પ્રવાસે છે. તેમણે મંગળવારે અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ અને વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મહત્વની બેઠકો કરી હતી. આ બેઠકોનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને અમેરિકા વચ્ચે વેપાર, ઊર્જા, પરમાણુ સહયોગ, સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ અને ટેકનોલોજી ક્ષેત્રે ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હતો. જયશંકરની આ ત્રણ દિવસીય યાત્રા એવા સમયે થઈ રહી છે, જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત બાદ ભારત સાથે મોટા વેપાર કરારની જાહેરાત કરી હતી.
ભારત અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ
આ કરાર હેઠળ, ભારતીય વસ્તુઓ પરના અમેરિકન રેસીપ્રોકલ ટેરિફને 25%થી ઘટાડીને 18% કરી દેવામાં આવ્યો છે, જે તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. જયશંકરે તેમના અમેરિકા પ્રવાસની શરૂઆત ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ સાથેની મુલાકાતથી કરી હતી. આ બેઠક નવા આર્થિક કરારને જમીની સ્તરે ઉતારવા માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે. બેસેન્ટ અને જયશંકર વચ્ચેની વાતચીતને વેપાર કરારની વિગતો નક્કી કરવાની દિશામાં મહત્વનું પગલું ગણાવવામાં આવ્યું છે. બેઠક બાદ જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું કે, બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી અને વ્યૂહાત્મક સહયોગને આગળ વધારવા પર ઉપયોગી ચર્ચા થઈ છે.
રુબિયો સાથે જયશંકરની વ્યૂહાત્મક ચર્ચા
ત્યારબાદ જયશંકરે અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે મુલાકાત કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, વાતચીતમાં દ્વિપક્ષીય સહયોગની સાથે સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી. જેમાં વેપાર, ઊર્જા, પરમાણુ સહયોગ, સંરક્ષણ, ક્રિટિકલ મિનરલ્સ અને ટેકનોલોજી જેવા ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીના મુખ્ય સ્તંભોનો સમાવેશ થાય છે. રુબિયોએ પણ આ બેઠકને આવકારતા કહ્યું કે, ચર્ચાનો ફોકસ ક્રિટિકલ મિનરલ્સના ક્ષેત્રમાં સહયોગ વધારવા અને નવી આર્થિક તકો ખોલવા પર રહ્યો હતો. તેમણે ભારત-અમેરિકા વેપાર કરારને દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું.
ટેરિફમાં ઘટાડાથી ભારતીય નિકાસકારોને રાહત
અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા રેસીપ્રોકલ ટેરિફમાં ઘટાડો થવાથી મેન્યુફેક્ચરિંગ, ફાર્મા અને રિન્યુએબલ એનર્જી જેવા ક્ષેત્રોમાં ભારતીય નિકાસકારોને મોટો લાભ મળવાની અપેક્ષા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સાથેના આ વેપાર કરારને રોજગાર સર્જન, આર્થિક વૃદ્ધિ અને 'મેક ઇન ઇન્ડિયા' પહેલને મજબૂતી આપનારું પગલું ગણાવ્યું હતું. ક્રિટિકલ મિનરલ્સ પર સહયોગ જયશંકરની વોશિંગ્ટન બેઠકોનો મુખ્ય વિષય રહ્યો હતો.

