નિષ્ણાતનું મોટું નિવેદન! ક્લાઈમેટ ચેન્જને કારણે સર્જાનારી ઇમરજન્સીની સૌથી વધારે અસર ભારતના ગરીબોને

માનવપ્રેરિત જળવાયુ પરિવર્તનને કારણે સર્જાનારી કટોકટી ભારત સહિતના વિક્સિત દેશોના ગરીબોને સૌથી વધારે અસર કરશે તેમ અશ્મિભૂત બળતણ પ્રસારણ નિવારણ સંધિના ડાયરેકટર એલેક્સ રાફાલોવિચે જણાવ્યું હતું. તેમણે વધતાં જતાં તાપમાનને કારણે જે લોકો પર સૌથી વધારે અસર થાય છે તેમની પર ધ્યાન કેન્દ્રિત કરવા પર ભાર મુક્યો હતો. જળવાયુપરિવર્તનને કારણે સર્જાનારી આફતોને અટકાવવા આપણે અશ્મિભૂત બળતણોના વપરાશને તબક્કાવાર બંધ કરવાની અને વનનાબૂદીનો અંત લાવવા વાસ્તવિક યોજનાની જરૂર છે પણ કોપ 30માં આવી કોઇ યોજના રજૂ ન કરાઇ હોઇ આપણે સ્વીકારવું રહ્યું કે આપણે ધ્યેયથી દૂર જઇ રહ્યા છીએ.
ભારતનો અશ્મિભૂત બળતણ પર મોટો મદાર છે તેની નોંધ લેતાં રાફાલોવિચે જણાવ્યું હતું કે પ્રથમ તો આવો મદાર હોય તેને સ્વીકારી તેને ઘટાડવાની દિશામાં પ્રતિબદ્ધ થવું પડે. અશ્મિભૂત બળતણ ક્ષેત્રમાં કામ કરતાં કર્મચારીઓના સ્થાનાંતરની યોજના પણ ઘડવી પડે. કોલંબિયા અને નેધરલેન્ડ પણ આવી માગણી કરી રહ્યા છે. ભારતની રીન્યુએબલ ઉર્જા ક્ષેત્રની મહત્વકાંક્ષી યોજનાઓ આ સંજોગોમાં આવકાર્ય છે.
ભારત સહિતના ઘણાં દેશોના હિતોને થશે નુકસાન
તેમણે જણાવ્યું હતું કે આ પરિષદમાં દરેક 25 જણા સામે અશ્મિભૂત બળતણ ઉદ્યોગ વતી એક વ્યક્તિ એવી હાજર છે જેનું ધ્યેય અવરોધ સર્જવાનું છે. છેલ્લા એક દાયકાથી આપણાં વાતાવરણમાં સપડાયેલો 85% કાર્બન ડાયોક્સાઇડ કોલસા, ઓઇલ અને ગેસમાંથી સર્જાયેલો છે. જો આપણે આ ત્રણ ઉત્પાદનોને નિયંત્રિત ન કરી શકીએ તો આપણે જળવાયુપરિવર્તનની સમસ્યા ઉકેલી ન શકીએ.
રાફાલોવિચે જણાવ્યું હતું કે મુખ્ય સવાલ એ છે કે આપણે અશ્મિભૂત બળતણથી રિન્યુએબલ ઉર્જા ભણી કેટલી ઝડપથી અને ન્યાયી રીતે જઇએ છીએ તે છે. આ સ્થાનાંતરને બજારું પરિબળોને ભરોસે છોડી દેવાથી શક્તિશાળી ખેલાડીઓને સૌથી વધારે લાભ થશે જ્યારે ભારત સહિતના અન્ય ઘણાં દેશોના હિતોને નુકસાન થશે. આ અભિગમથી યુએસ, સાઉદી અરેબિયા અને રશિયાના ભદ્ર વર્ગને લાભ થશે પણ મોટાભાગના લોકોને કશો લાભ થશે નહીં.
અશ્મિભૂત બળતણોના વપરાશને તબક્કાવાર બંધ કરવાના ધ્યેય સાથે પ્રથમ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ 2026ના 28-29 એપ્રિલે કોલંબિયાના સાન્ટા માર્ટા શહેરમાં યોજાશે.

