'ભલે મને બરખાસ્ત કરી દે, હું રાજીનામું નહીં આપું’, બંગાળમાં હાર બાદ મમતા બેનરજીની 'દીદીગીરી'

પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામો સામે વાંધો ઉઠાવતા TMC ચીફ મમતા બેનરજીએ ફરી એકવાર કહ્યું કે, તેમના જે ઉમેદવારો હાર્યા છે તેમને ષડયંત્ર હેઠળ બળજબરીથી હરાવવામાં આવ્યા છે. તેમણે આ માટે ચૂંટણી પંચ, પશ્ચિમ બંગાળ પોલીસ, CRPF અને મુખ્ય ચૂંટણી અધિકારીને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે તેમની પાર્ટીની 1500થી વધુ ઓફિસો પર કબજો કરી લેવામાં આવ્યો છે.
બરખાસ્ત કરો, રાજીનામું નહીં આપું: મમતા બેનરજી
એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ મમતા બેનરજીએ TMCના નવનિર્વાચિત ધારાસભ્યો સાથેની બેઠકમાં કહ્યું, 'બંગાળ બાદ હવે INDIA ગઠબંધનની ટીમ એકજૂથ છે. હું રાજીનામું નહીં આપું. ભલે તેઓ મને બરખાસ્ત કરી દે. હું ઈચ્છું છું કે આ દિવસ કાળો દિવસ હોય. આપણે મજબૂત રહેવું પડશે. વિધાનસભાના પહેલા દિવસે TMCના તમામ ધારાસભ્યો કાળા કપડાં પહેરે. જેમણે દગો કર્યો છે તેમને પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવશે. મેં તેમને નૈતિક રીતે હરાવ્યા છે. હું એક આઝાદ પંખી છું. મેં દરેક માટે કામ કર્યું છે. અમે ભલે હારી ગયા હોઈએ, પરંતુ અમે લડીશું.'
હિંસા થઈ રહી છે તે લોકશાહી માટે યોગ્ય નથી: TMC
TMC પ્રવક્તા અને ધારાસભ્ય કુણાલ ઘોષે કહ્યું, 'હિંસા રોકવી એ ચૂંટણી પંચની જવાબદારી છે. ભાજપે જે કહ્યું હતું અને જે જમીન પર થઈ રહ્યું છે તે તેનાથી સાવ ઉલટું છે. જે હિંસા થઈ રહી છે તે લોકશાહી માટે યોગ્ય નથી. મમતા બેનરજીનું રાજીનામું ન આપવું, એ ભાજપ દ્વારા કરવામાં આવેલી બેઠકોની લૂંટ સામે તેમનો એક પ્રતીકાત્મક વિરોધ છે. વિપક્ષના નેતા કોણ હશે અથવા વિધાનસભામાં અમારી પાર્ટી કેવી રીતે જશે, આ તમામ બાબતો પર નિર્ણય લેવા માટે અમે મમતા દીદીને કહ્યું છે, તેઓ જે રીતે જણાવશે અમે તે રીતે કરીશું. વિધાનસભામાં કયા ધારાસભ્યની શું જવાબદારી છે, તે જણાવવા માટે અમે તેમને આગ્રહ કર્યો છે.'
તૃણમૂલે બેઠક બોલાવી, 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા
રિપોર્ટ અનુસાર, મમતા બેનરજીના નિવાસસ્થાને વિપક્ષના નેતાની પસંદગી કરવા માટે બોલાવવામાં આવેલી મહત્વની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસના અંદાજે 10 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો સામેલ થયા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસે આંતરિક વિચાર-મંથન શરૂ કરી દીધું છે, પરંતુ આ મહત્વપૂર્ણ રણનીતિ બેઠકમાં પાર્ટીના 80 નવનિર્વાચિત ધારાસભ્યોમાંથી માત્ર 70 જ હાજર હતા. ચર્ચાનો હેતુ વિધાનસભામાં પાર્ટીની સ્થિતિ અને નેતૃત્વના માળખાને અંતિમ સ્વરૂપ આપવાનો છે, જેમાં આગામી વિપક્ષના નેતાની પસંદગી પણ સામેલ છે.
બંગાળમાં સરકાર રચવાની પ્રક્રિયા શરૂ
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર રચવાની બંધારણીય પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. વિદાય લેતા મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજીનામું આપવાનો ઇનકાર કરતા જનાદેશ પર સવાલો ઉઠાવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે બુધવારે (6 મે 2026) સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી પંચની ભૂમિકા માત્ર ચૂંટણી કરાવવા અને પરિણામો જાહેર કરવા સુધી મર્યાદિત છે, તેની આગળની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધારણ હેઠળ થાય છે.

