VIDEO : કેરળમાં EDની કાર્યવાહી બાદ હાઈ-વોલ્ટેજ ડ્રામા, દરોડા પાડી બહાર નીકળતા અધિકારીઓને CPIMના કાર્યકરોએ ઘેર્યા
કેરલમના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષી નેતા પિનરાઈ વિજયન તેમજ તેમની પુત્રી વીણા વિજયનના નિવાસસ્થાન સહિત 10 સ્થળો પર પ્રવર્તન નિદેશાલય (ED) દ્વારા કરવામાં આવેલા દરોડાને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કન્નૂર અને તિરુવનંતપુરમ સ્થિત પૂર્વ મુખ્યમંત્રીના આવાસ પર જ્યારે ઇડીની કાર્યવાહી પૂર્ણ થઈ, ત્યારે ત્યાં હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.
અધિકારીઓને સમર્થકોએ ઘેરી લીધા
દરોડા પૂરા કરીને બહાર નીકળી રહેલા ઇડીના અધિકારીઓને સીપીઆઈ(એમ) (CPI(M)) ના રોષે ભરાયેલા કાર્યકરો અને સમર્થકોએ ગેટ પર જ રોકી લીધા હતા. કાર્યકરોએ કેન્દ્રીય એજન્સીઓ વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર શરૂ કર્યા હતા. જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સ્થાનિક પદાધિકારીઓએ માંડ-માંડ કાર્યકરોને શાંત પાડીને ઇડીના અધિકારીઓને બહાર કાઢ્યા હતા.
ED હવે RSS-BJPની રાજકીય મશીનરી-CPIM
આ મોટી કાર્યવાહી અંગે સીપીઆઈ(એમ) ના મહાસચિવ એમ.એ. બેબીએ કેન્દ્ર સરકાર અને ઇડી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આ દરોડાને રાજકીય હેતુથી પ્રેરિત ગણાવ્યા છે. એમ.એ. બેબીએ આક્ષેપ કર્યો કે, આ ભાજપ-આરએસએસની રાજકીય રણનીતિનો એક ભાગ છે, જેનો ઉપયોગ વિપક્ષનો અવાજ દબાવવા અને નેતાઓને ડરાવવા માટે થઈ રહ્યો છે.
જૂના કેસોનો ઉલ્લેખ
આપણે દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં પણ જોયું છે કે, મોટા રાજકીય નેતાઓ, મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ સામે મનઘડંત આરોપો લગાવીને ધરપકડ કરાઈ છે. અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના કેસમાં પણ ટ્રાયલ કોર્ટે રાહત આપી હતી. ઇડી હવે સ્વતંત્ર એજન્સી નથી રહી પણ સત્તાધારી પક્ષનું હથિયાર બની ગઈ છે.

