"વાયુસેનાની તૈનાતી કાયમી ઈલાજ નથી" NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટની કેન્દ્રને ફટકાર!

નીટ (NEET) પેપર લીક મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે અને ભૂલોના સિલસિલાને તુરંત રોકવાના નિર્દેશ આપ્યા છે.
વાસ્તવમાં, જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આલોક અરાધેની પીઠે પરીક્ષા પ્રણાલી પર સવાલો ઉઠાવતા કેન્દ્રને પૂછ્યું કે સમગ્ર પ્રક્રિયાને ઓનલાઈન મોડ (CBT)માં બદલવા અને ડેટાને સુરક્ષિત રાખવા માટે શું ઠોસ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આના પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અદાલત સમક્ષ સમગ્ર સ્થિતિ અને રોડમેપ મૂકવા માટે થોડો વધુ સમય માંગ્યો છે.
એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને NEET-UG પેપર લીક પછી સુધારાઓ લાગુ કરવામાં થયેલી પ્રગતિ પર વિગતવાર એફિડેવિટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને આલોક અરાધેની બેન્ચે કહ્યું કે એફિડેવિટમાં કામચલાઉ ઉપાયો પર નિર્ભર રહેવાને બદલે સુધારાઓને સંસ્થાકીય બનાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં વિશે જણાવવામાં આવવું જોઈએ.
કોર્ટે પ્રસ્તાવિત ગવર્નિંગ બોર્ડ, નિષ્ણાતોના નેતૃત્વવાળી શાખાઓ, સ્ટેકહોલ્ડર્સના નામાંકન અને દસ ક્ષેત્રો (જેમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા, રિસર્ચ અને ડેવલપમેન્ટ, પારદર્શિતા, વહીવટ અને માનવ સંસાધન સામેલ છે)માં હાઈ-પાવર્ડ કમિટીની ભલામણોને લાગુ કરવા વિશે માહિતી માંગી છે.
કોર્ટે માંગ્યો સ્ટેટસ રિપોર્ટ
કોર્ટે કેન્દ્રને સુરક્ષા, નિરીક્ષણ અને સર્તકતા માટે તાજેતરમાં નિમાયેલા અતિરિક્ત મહાનિર્દેશકો (Additional Directors General)ની ભૂમિકા અને પ્રગતિ વિશે પણ જણાવવા કહ્યું છે. સાથે જ પરીક્ષા ચક્રના દરેક તબક્કે— પરીક્ષા પહેલાં, પરીક્ષા દરમિયાન અને પરીક્ષા પછી— થયેલા સુધારાઓ પર સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.
કોર્ટે કેન્દ્રને રાજ્ય અને જિલ્લા અધિકારીઓ સાથે ટેસ્ટિંગની પદ્ધતિઓ, મલ્ટિપલ સેશનમાં લેવાતી પરીક્ષાઓ, પરીક્ષા કેન્દ્રો, પ્રશ્નપત્રો, પ્રિન્ટિંગ અને ટ્રાન્સપોર્ટેશન પર થયેલી પ્રગતિ વિશે જણાવવા કહ્યું છે.
એરફોર્સની તૈનાતી કામચલાઉ ઉપાય
જસ્ટિસ નરસિંહાએ કહ્યું કે પેપર લીક થયા પછી (પ્રશ્નપત્રોના સુરક્ષિત ટ્રાન્સપોર્ટેશન માટે) ભારતીય વાયુસેનાની તૈનાતી માત્ર એક કામચલાઉ ઉપાય હતો અને તે કોઈ કાયમી ઉકેલ હોઈ શકે નહીં.
કોર્ટે કેન્દ્રને ઉમેદવારોના વેરિફિકેશન માટે 'ડિજીયાત્રા' (DigiYatra) જેવી ટેકનોલોજી પરના પોતાના પ્રસ્તાવ વિશે પણ જણાવવા કહ્યું છે. કેન્દ્રના અગાઉના એફિડેવિટમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી ન હોવાનું નોંધીને, કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાની એ ખાતરી સ્વીકારી લીધી છે કે નવું એફિડેવિટ દાખલ કરવામાં આવશે.
કોર્ટે આ મામલાને આગામી સોમવાર માટે લિસ્ટ કરતા કહ્યું, "અમે આના પર બારીકાઈથી નજર રાખીશું. અમે એ સુનિશ્ચિત કરીશું કે સુધારાઓને સંસ્થાકીય રૂપ આપવામાં આવે. અમે આખા વર્ષ દરમિયાન આના પર નજર રાખીશું," તેમ કહીને કોર્ટે આ મામલાને આવતા સોમવાર માટે લિસ્ટ (સૂચિબદ્ધ) કર્યો હતો

