કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિવાદોમાં ઘેરાયા, શશી થરૂરે આપ્યો સાથ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વખાણ કરીને કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ વિવાદોમાં ઘેરાયા છે. ત્યારે શશી થરૂરે દિગ્વિજય સિંહનો સાથ આપ્યો છે. કોંગ્રેસના 140માં સ્થાપના દિન નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં થરૂર અને દિગ્વિજય સિંહ બાજુ-બાજુમાં બેઠેલા જોવા મળ્યા. જેની તસવીર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જે બાદ થરૂરે કહ્યું, કે હા હું પણ ઈચ્છું છું કે સંગઠન મજબૂત થવું જોઈએ અને તે માટે પાર્ટીમાં શિસ્ત હોવી જોઈએ. થરૂરે કહ્યું, કે એ વાતમાં કોઈ આશંકા નથી કે સંગઠનને હજુ મજબૂત કરવાની જરૂર છે.
શશી થરૂરની વાત કોંગ્રેસ નેતાઓને ગમશે?
નોંધનીય છે કે, શશી થરૂર છેલ્લા કેટલાક સમયથી પોતાના જ પક્ષના નેતાઓના નિશાને છે. એવામાં દિગ્વિજય સિંહના 'હમદર્દ' બન્યા પછી કોંગ્રેસના ઘણા નેતાઓને થરૂરનું આ નિવેદન પણ નહીં ગમે.
સલમાન ખુર્શીદે પૂછ્યું- મજબૂત તો ડાકુ પણ હોય છે...
બીજી તરફ કોંગ્રેસના વધુ એક નેતા સલમાન ખુર્શીદે દિગ્વિજય સિંહનો આડકતરો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું છે, કે મજબૂત તો ડાકુ પણ હોય છે. તો શું તમે બાળકોને એમ કહેશો કે ડાકુ બનો? કોણ કેવી પરિસ્થિતિમાં કેટલો મજબૂત છે તે અલગ વાત છે. અમે RSSનો વિરોધ કરીએ છીએ. RSSને બદલે અમે ઈચ્છીશું કે એવો સમાજ બનાવીએ જેમાં RSS જેવી ભૂલો ન હોય. દિગ્વિજય સિંહે જે કહ્યું તેની શબ્દાવલી અને સંદર્ભ જાણવાની જરૂર છે.
અહીંથી શરૂ થયો વિવાદ
સમગ્ર વિવાદ દિગ્વિજય સિંહની એક સોશિયલ મીડિયા પોસ્ટથી શરૂ થયો. આ પોસ્ટમાં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેખાઈ રહ્યા છે. દિગ્વિજય સિંહે લખ્યું, કે 'આ તસવીર પ્રભાવશાળી છે. નેતાઓના ચરણોમાં ફર્શ પર બેઠેલા RSSના સ્વયંસેવક અને ભાજપના કાર્યકર મુખ્યમંત્રી અને વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા. આ સંગઠનની શક્તિ છે. જય સિયારામ.'

