VIDEO : 'કોંગ્રેસે ઘુસણખોરોને જમીન સોંપી રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી', આસામમાં PM MODIના પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના કોકરાઝાર જિલ્લામાં ₹4,570 કરોડના પ્રોજેક્ટ્સનું ડિજિટલી ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે સ્વદેશી લોકોની જમીન ઘુસણખોરોને સોંપીને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકી છે. આગામી ચૂંટણીઓમાં કોંગ્રેસને પાઠ ભણાવી સ્પષ્ટ સંદેશ આપવા વિનંતી કરી કે ઘુસણખોરો માટે કોઈ સ્થાન નથી.
PM MODIએ આસામ અને ઉત્તરપૂર્વીય ક્ષેત્રમાં કનેક્ટિવિટી સુધારવાના હેતુથી ત્રણ નવી ટ્રેન સેવાઓને લીલી ઝંડી આપી. આમાં કામાખ્યા-ચારલાપલ્લી અમૃત ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે, જે ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારત વચ્ચે સીધી રેલ કનેક્ટિવિટી પૂરી પાડે છે, જ્યારે ગુવાહાટી-ન્યૂ જલપાઇગુડી એક્સપ્રેસ આસામ અને પશ્ચિમ બંગાળ વચ્ચે કનેક્ટિવિટી વધારે છે અને નારંગી-અગરતલા એક્સપ્રેસ આસામ અને ત્રિપુરા વચ્ચે કનેક્ટિવિટી વધારે છે. આ ટ્રેનો થકી પ્રવાસીઓ, વેપારીઓ માટે આંતરરાજ્ય મુસાફરીને વધુ અનુકૂળ બનાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "ખરાબ હવામાનને કારણે, હું કોકરાઝારની રૂબરૂ મુલાકાત લઈ ના શક્યો તે બદલ હું તમારા બધાની માફી માંગુ છું. ગુવાહાટીથી જ તમારી સાથે વાતચીત કરવાનું શક્ય બન્યું છે. હું દિલ્હીથી તમારી પાસે આવવાના ઇરાદાથી નીકળ્યો હતો, પરંતુ મારે ગુવાહાટીમાં જ ઉતરવું પડ્યું; હવે અહીંથી હું તમને જોઈ રહ્યો છું અને તમારી સાથે વાત પણ કરી રહ્યો છું.
પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું, "જ્યાં પણ મારી નજર પડી રહી છે ત્યાં માનવ મહેરામણ સિવાય બીજું કંઈ દેખાતું નથી. આટલી મોટી સંખ્યામાં, માતાઓ અને બહેનો પણ અહીં તેમના આશીર્વાદ આપવા માટે એકઠા થયા છે. તમે મને આપેલો આ પ્રેમ મારા માટે કર્જ છે. જેને હું તમારી સેવા કરીને અને આ વિસ્તારનો વિકાસ કરીને ચુકવીશ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ-એનડીએની "ડબલ-એન્જિન" સરકાર આસામના વારસાને જાળવવા અને રાજ્યના વિકાસને વેગ આપવા માટે અવિરતપણે કામ કરી રહી છે. આજના આ જ કાર્યક્રમ દરમિયાન આ પ્રદેશના વિકાસને ધ્યાનમાં રાખીને ₹4,500 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન- શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જેમાંથી ₹1,100 કરોડથી વધુની રકમ બોડોલેન્ડમાં રસ્તાઓ માટે ખર્ચ કરવામાં આવશે. અસમ માલા અભિયાનના ત્રીજા તબક્કામાં આસામનીરોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનશે.

