'ઇસ્લામપુર હવે ઇશ્વરપુર બન્યું', મહારાષ્ટ્રના શહેરનું નામ બદલાયું; કેન્દ્ર સરકારે આપી મંજૂરી

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના ઇસ્લામપુર શહેરનું નામ હવે બદલીને ઇશ્વરપુર કરવામાં આવ્યું છે. ભારતીય સર્વેક્ષણ વિભાગે આ પ્રસ્તાવને પોતાની મંજૂરી આપી છે.આ નિર્ણય ભારત સરકારના ગૃહ મંત્રાલયના 13 ઓગસ્ટ 2025ના પત્રના આધારે લેવામાં આવ્યો છે.
ભારતીય સર્વેક્ષણ વિભાગે નામ બદલવાના પ્રસ્તાવની તપાસ અને સ્થળની સમીક્ષા બાદ તેને મંજૂરી આપી હતી. ઇસ્લામપુર નગર પરિષદે 4 જૂન 2025એ સંકલ્પ સંખ્યા 825 હેઠળ શહેરનું નામ 'ઇશ્વરપુર' કરવાના પ્રસ્તાવને પસાર કર્યો હતો.આ પ્રસ્તાવને મધ્ય રેલ્વે, મિરાજના સિનિયર પોસ્ટ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ અને આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયરે પણ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપીને પોતાનો ટેકો આપ્યો હતો.
વિભાગના જણાવ્યા અનુસાર, પ્રસ્તાવિત નામ પરિવર્તન બધી સ્વીકૃત વહીવટી પ્રક્રિયાઓનું પાલન કરે છે. નવા નામની જોડણી દેવનાગરી અને રોમન લિપિમાં "ઈશ્વરપુર" કરવામાં આવી છે, જે ભારતીય લિપિઓના અવાજોને સચોટ રીતે પ્રતિબિંબિત કરવા માટે ડાયાક્રિટિક્સનો ઉપયોગ કરીને લિવ્યંતરણ કરવામાં આવ્યું છે. સર્વે ઓફ ઈન્ડિયાએ એવું પણ સૂચન કર્યું છે કે નામ પરિવર્તન સંબંધિત ગેઝેટ સૂચનાની નકલ દેહરાદૂન સ્થિત મુખ્ય કાર્યાલય અને પુણે સ્થિત મહારાષ્ટ્ર અને ગોવા ભૂ-અવકાશી નિર્દેશાલયને મોકલવામાં આવે.
સાંસ્કૃતિક ઓળખને સમ્માન આપવાની પહેલ
આ નિર્ણયને સાંગલી જિલ્લાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બદલાવ વિસ્તારની સાંસ્કૃતિક અને પારંપરિક ઓળખને સમ્માન આપવાની દિશામાં એક સકારાત્મક પગલું છે. ભારતીય સર્વેક્ષણ વિભાગના સુપરિન્ટેન્ડિંગ સર્વેયર તુષાર વૈશે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયને પત્ર લખીને ગેઝેટ સૂચના તાત્કાલિક જારી કરવાની વિનંતી કરી છે. ગૃહ મંત્રાલય, સર્વેયર જનરલ ઓફ ઈન્ડિયાના કાર્યાલય, પશ્ચિમ ક્ષેત્ર, જયપુર અને પુણે નિર્દેશાલયને પણ માહિતી મોકલવામાં આવી છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેએ શું કહ્યું?
ઇસ્લામપુરનું નામ ઇશ્વરપુર કરવામાં આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નિતેશ રાણેએ X પર પોસ્ટ કરતા લખ્યુ- "મહારાષ્ટ્રનું ઇસ્લામપુર હવે ઇશ્વરપુર..કેન્દ્ર સરકારે સાંગલી જિલ્લાના ઇસ્લામપુર શહેરનું નામ બદલીને ઇશ્વરપુર કરવાને મંજૂરી આપી છે. આ નિર્ણયની સાથે જ ઇસ્લામપુર શહેર હવે ઇશ્વરપુર તરીકે ઓળખાશે.

