ડ્રાઈવરને જોકું આવી જતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત, 4 લોકો ઈજાગ્રસ્ત

ઉત્તર પ્રદેશના જાલૌન જનપદના કાલપી કોતવાલી વિસ્તારમાં સોમવારે(4 મે) સવારે એક માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં અયોધ્યા દર્શન કરી પરત ફરતા કારચાલકને જોકું આવી જતાં જોલ્હુપુર વળાંક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
એક જોકું 6 જિંદગીઓ ભરખી ગયું!
મળતી માહિતી મુજબ, લલિતપુર જનપદના મહરૌનીના રહેવાસી શશિકાંત તિવારી પરિવાર સાથે અયોધ્યા દર્શન કરવા ગયા હતા. દર્શન કર્યા બાદ પરિવાર કારથી પરત ફરી રહ્યો હતો. ત્યારે સવારે 6 વાગ્યા આસપાસ કાલપી વિસ્તારના જોલ્હુપુર વળાંક પાસે ડ્રાઈવરને જોકું આવી જતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. એટલાં સામે આવી રહેલા વાહન સાથે કારની ભયંકર ટક્કર વાગી હતી.
4 લોકોના ઘટનાસ્થળે જ મોત
ટક્કર એટલી ભયાનક હતી કે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઉપરાંત, ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કારમાં કુલ 10 લોકો સવાર હતા. જેમાં શશિકાંત તિવારી, કૃષ્ણકાંત, દિપક તિવારી, હરિમોહન તિવારી, ભૂષણ તિવારી, અંશુલ તિવારી, સ્વામી પ્રસાદ તિવારી, મનોજ અને દેશરાજ નામના વ્યક્તિનો સમાવેશ થાય છે. તમામ વ્યક્તિ એક જ પરિવારના હોવાનું જણાય છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેને લઈને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતાંની સાથે કાલપી કોતવાલી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઈજાગ્રસ્ત દર્દીઓને લઈને એક એમ્બ્યુલન્સ મેડિકલ કોલેજના ઈમરજન્સી વોર્ડની બહાર આવી, પરંતુ તેમને ઉતારવા માટે કોઈ વોર્ડ બોય હાજર નહોતો. પરિસ્થિતિ એવી હતી કે દર્દીઓ 10 મિનિટ સુધી એમ્બ્યુલન્સની અંદર વેદનામાં સરી પડ્યા રહ્યા. અંતે નજીકના લોકોએ કોઈક રીતે દર્દીઓને બહાર કાઢીને ઈમરજન્સી વોર્ડમાં લઈ ગયા હતા.

