VIDEO: 'બેરિકેડ્સ તોડ્યા, બસો પર ચઢ્યા અને સીએમ આવાસ ઘેરવાનો પ્રયાસ'; ભોપાલમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પોતાની વિવિધ માંગણીઓને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. મગની આખી પાક સરકાર ટેકાના ભાવે (MSP) ખરીદે અને ખાતરના વિતરણ માટેની ટોકન સિસ્ટમ નાબૂદ કરવામાં આવે તેવી ખેડૂતોની મુખ્ય માંગ છે. પોતાની માંગણીઓ સાથે ખેડૂતોએ મુખ્યમંત્રી આવાસ ઘેરવાની તૈયારી દર્શાવી છે, જેને પગલે પોલીસ અને વહીવટીતંત્રે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે.
ગઈકાલે આ આંદોલનના કારણે હોશંગાબાદ રોડ સ્થિત વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને ધ્યાનમાં રાખીને આજે આ વિસ્તારની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
નર્મદાપુરમમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ચકમક
આંદોલન દરમિયાન ખેડૂતોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો હતો. નર્મદાપુરમ ખાતે પોલીસ અને ખેડૂતો વચ્ચે તીવ્ર ઝડપ જોવા મળી હતી. વિરોધ કરી રહેલા ગુસ્સે ભરાયેલા ખેડૂતોએ પોલીસ દ્વારા મૂકવામાં આવેલા બેરિકેડ્સ ઉઠાવીને ફેંકી દીધા હતા અને તોડી નાખ્યા હતા. કેટલાક ખેડૂતો બસો ઉપર ચઢી ગયા હતા અને સીએમ હાઉસ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોએ વિરોધ પ્રદર્શન દરમિયાન ભારે હંગામો મચાવ્યો હતો અને ચેતવણી આપતા કહ્યું હતું કે "આ તો માત્ર ટ્રેલર છે."
મુખ્યમંત્રી મોહન યાદવનું નિવેદન
ભોપાલમાં થઈ રહેલા ખેડૂતોના વિરોધ પ્રદર્શન અંગે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે નિવેદન આપતા જણાવ્યું હતું કે, "અમે રાજ્યભરમાં ખેડૂતો માટે 'કૃષિ કલ્યાણ વર્ષ' ઉજવી રહ્યા છીએ અને તેમના હિતમાં અનેક પગલાં ભરી રહ્યા છીએ. મેં ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ ઉકેલવા માટે એક સમિતિની રચના કરી છે, જે તેમની સાથે સીધી વાતચીત કરશે. ગઈકાલે રાજ્યના કૃષિ મંત્રીને મોકલવામાં આવ્યા હતા અને આજે પણ મંત્રીઓ તથા અધિકારીઓ ખેડૂતો સાથે વાતચીત કરશે."
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સરકાર ખેડૂતોના સકારાત્મક સૂચનોનું સમર્થન કરે છે, પરંતુ બંને પક્ષોએ ધ્યાન રાખવું જોઈએ કે આ આંદોલનથી સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે વાતચીત દ્વારા જ આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે.

