'હું તો નહેરુ મુદ્દે બોલતો હતો, લોકોએ બીજુ પટનાટક વિશે માની લીધું', ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ માંગી માફી

ઝારખંડની ગોડ્ડા બેઠક પરથી લોકસભા સાંસદ નિશિકાંત દુબેએ એક નિવેદનમાં દાવો કર્યો હતો કે 1960ના ચીન સામેના યુદ્ધ દરમિયાન બીજુ પટનાયક પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએ વચ્ચેની એક કડી હતા. તેમના નિવેદનથી મોટો હોબાળો થયો હતો. ઓડિશાની વિપક્ષી પાર્ટી બીજેડીએ વિધાનસભામાં ખૂબ હંગામો મચાવ્યો હતો. આટલું જ નહીં ઓડિશાના ભાજપના નેતાઓને પણ તેમનું નિવેદન પસંદ ન આવ્યું. હવે પોતાના નિવેદન પર વધી રહેલા વિરોધને જોતા નિશિકાંત દુબેએ બિનશરતી માફી માગી છે.
વિરોધ થયો તો સોશિયલ મીડિયા પર માફી માગી લીધી
તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, 'ગત અઠવાડિયે મીડિયા સાથે વાતચીત દરમિયાન મેં નેહરુ-ગાંધી પરિવારના કારનામાઓના ક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના અગ્રણી નેતાઓમાં સ્થાન ધરાવતા આદરણીય બીજુ પટનાયકજી વિશે જે કહ્યું હતું તેનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો આ નિવેદન મારું વ્યક્તિગત નિવેદન છે. નેહરુજી વિશેના મારા વિચારોને બીજુ બાબુના સંદર્ભમાં સમજી લેવામાં આવ્યા. બીજુ બાબુ અમારા માટે હંમેશા ઊંચું કદ ધરાવતા સ્ટેટ્સમેન રહ્યા છે અને રહેશે. જો મારા નિવેદનથી લાગણીઓને ઠેસ પહોંચી હોય તો હું બિનશરતી માફી માગુ છું.'
શું કહ્યું હતું નિશિકાંત દુબેએ?
મીડિયાને આપેલા પોતાના નિવેદનમાં નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, 'અમેરિકાએ તિબેટ પર ચીનના કબજાના ડરથી ત્યાં પોતાની સેના અને CIA એજન્ટો મોકલ્યા હતા. દલાઈ લામા અને તેમના ભાઈ સતત અમેરિકન સરકાર સાથે સંપર્કમાં હતા. નેહરુએ ચીન સાથે 1962નું આખું યુદ્ધ યુએસ ફંડિંગ અને CIA એજન્ટોના સહયોગથી લડ્યું હતું. ઓડિશાના તત્કાલીન મુખ્યમંત્રી બીજુ પટનાયકે અમેરિકન સરકાર, CIA અને નેહરુ વચ્ચે કડીનું કામ કર્યું હતું. ઓડિશાનું ચારબતિયા એરપોર્ટ જેમાં બીજુ પટનાયકે મુખ્ય ભૂમિકા ભજવી હતી, તે U2 વિમાનોનો અડ્ડો હતો અને આ એરપોર્ટ પર 1963થી 1979 સુધી અમેરિકન સૈનિકો તહેનાત હતા.'
જણાવી દઈએ કે, સોમવારે બીજેડી સાંસદોએ રાજ્યસભામાં બીજુ પટનાયકના આ કથિત અપમાનનો જોરદાર વિરોધ કર્યો હતો અને તેની અસર ઓડિશાના રસ્તાઓ પર પણ જોવા મળી હતી, જ્યાં યુવાનો અને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ભાજપના સાંસદનું પુતળું બાળ્યું હતું.
વિપક્ષનો જોરદાર વિરોધ
પૂર્વ મુખ્યમંત્રી બીજુ પટનાયક વિશે ભાજપના સાંસદ નિશિકાંત દુબેની ટિપ્પણી વિરુદ્ધ મંગળવારે રાજ્ય વિધાનસભામાં વિપક્ષના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો અને તેમની સામે નિંદા પ્રસ્તાવ પસાર કરવાની માગ કરી.
સવારે 10:30 વાગ્યે જ્યારે પ્રશ્નકાળ માટે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે બીજુ જનતા દળ (બીજેડી), કોંગ્રેસ અને માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) ના સભ્યો સ્પીકરના પોડિયમની નજીક આવી ગયા અને બીજુ પટનાયક વિરુદ્ધ દુબેની ટિપ્પણી પર મૌન જાળવવા બદલ રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
વિપક્ષી સભ્યોના સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન વચ્ચે વિધાનસભા અધ્યક્ષ સુરમા પાધીએ કાર્યવાહી 11:00 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

