Bengaluru stampede caseમાં મોટું અપડેટ: KSCA ના બે અધિકારીઓએ આપ્યા રાજીનામા

Bengaluru stampede case : કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA)ના સચિવ એ શંકર અને કોષાધ્યક્ષ ઈ જયરામે રાજીનામું આપી દીધું છે. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડના કેસમાં નૈતિક જવાબદારી લેતા બંનેએ રાજીનામું આપ્યું છે. નોંધનીય છે કે, આ ભાગદોડમાં 11 લોકોના મોત નીપજ્યા હતા અને 50 થી વધુ લોકોને ઈજા પહોંચી હતી.
આ અંગે એક પ્રેસ રિલીઝ જારી કરવામાં આવી છે. તેમાં લખ્યું છે કે, છેલ્લા બે દિવસમાં અણધારી અને દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ બની છે. જોકે, આમાં અમારી ભૂમિકા ખૂબ જ મર્યાદિત હતી. પરંતુ નૈતિક જવાબદારીને કારણે અમે (એ શંકર અને ઇ જયરામે) KSCA ના સેક્રેટરી અને કોષાધ્યક્ષ તરીકે અમારા પદો પરથી રાજીનામું આપી દીધું છે. આ સંદર્ભમાં KSCA ના પ્રમુખને પત્ર લખવામાં આવ્યો છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થયેલી ભાગદોડ મામલે ત્રણ FIR નોંધવામાં આવી છે. બેંગલુરુ પોલીસ દ્વારા નોંધેલા કેસમાં KSCA ના ઉચ્ચ અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. એ શંકર અને ઇ જયરામ ઉપરાંત કેએસસીએના પ્રમુખ રઘુરામ ભટનું પણ આરોપીઓમાં નામ છે.
જોકે, કર્ણાટક હાઈકોર્ટે KSCAના ટોચના અધિકારીઓની ધરપકડ પર રોક લગાવી દીધી છે. કોર્ટે તેમને 16 જૂન સુધી વચગાળાની સુરક્ષા આપી છે. એટલે કે, આ તારીખ સુધી તેમની ધરપકડ કરી શકાશે નહીં. જસ્ટિસ એસઆર કૃષ્ણ કુમારે નિર્દેશ આપ્યો હતો કે, 'KSCAના પ્રમુખ, સેક્રેટરી અને ટ્રેઝરર સામે કોઈ 'આકસ્મિક કાર્યવાહી' કરવામાં આવશે નહીં.'
KSCAએ જ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું
3 જૂને આઈપીએલ 2025માં RCBની શાનદાર જીત થતાં 4 જૂને વિજય પરેડ કાઢવામાં આવી હતી. RCBને 18 વર્ષ પછી પહેલી જીત મળી હતી. કેએસસીએએ RCB ખેલાડીઓનું સન્માન કરવા માટે આ ખાસ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આ દરમિયાન નાસભાગ મચી હતી અને કેટલાક લોકોના મોત થયા.

