VIDEO: E-20 પેટ્રોલ પર મોટો સવાલ! 18 રાજ્યોમાં ક્લોરાઈડ અને ભેજનું પ્રમાણ વધ્યું, કાર કંપનીઓ ચિંતિત
નવી દિલ્હી : ભારતમાં ઈથેનોલ ભેળવેલા પેટ્રોલ ઈ-૨૦ મામલે સરકાર અને ઓઈલ કંપનીઓ સબ સલામતનો દાવો કરી રહી છે ત્યારે, દેશની મોટી ઓઈલ કંપનીઓની અંદરની ચર્ચાએ નવા સવાલો ઊભા કર્યા છે. રોઈટર્સના રિપોર્ટ અનુસાર, મારુતિ, ટાટા મોટર્સ અને મહિન્દ્રાના અધિકારીઓએ ઈ-૨૦માં ક્લોરાઈડ અને ભેજનું પ્રમાણ વધારે હોવાના અહેવાલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ ચિંતા એવા સમયે આવી છે જ્યારે, સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્ર્સે ભેળસેળ મુદ્દે સવાલ ઉઠાવતો પત્ર સરકારને ૨૮ જુલાઈના રોજ મોકલીને પરત લઈ લીધો હતો. જીૈંછસ્એ સ્પષ્ટતા આપતા કહ્યું કે, પત્રમાં આપવામાં આવેલી કેટલીક વિગતો ચકાસવી જરૂરી હોવાથી પત્ર પરત ખેંચાયો છે.
રિપોર્ટ અનુસાર, ઓટો કંપનીઓએ છેલ્લા એક વર્ષ દરમિયાન દેશભરના પેટ્રોલ પંપો પરથી ૨૫૦થી વધુ ફ્યુલ સેમ્પલ્સ લીધા હતા. આ સેમ્પલ્સ ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લેવામાં આવ્યા હતા. ઓટો કંપનીઓના આંતરિક ડેટા અનુસાર, ૧૮ રાજ્યોમાં ક્લોરાઈડનું પ્રમાણ વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. અનેક સ્થળોએ પેટ્રોલમાં ભેજનું પ્રમાણ પણ નિર્ધારિત કરતા વધારે હોવાનું જણાયું હતું.
આંકડા મુજબ, રાજસ્થાનમાં ક્લોરાઈડનું પ્રમાણ કેટલાક સેમ્પલમાં ૬ થી ૫૭૦ પીપીએમ, દિલ્હીમાં ૧.૪થી ૪૨૦ પીપીએમ અને મહારાષ્ટ્રમાં ૧૦થી ૩૫૭ પીપીએમ સુધી નોંધાયું હતું. સરકારની નિર્ધારિત મર્યાદા ૩ પીપીએમ છે. ભેજના સેમ્પલમાં સરકારની મર્યાદા ૩,૦૦૦ પીપીએમ છે ત્યારે, આંધ્ર પ્રદેશમાં ૧૩,૦૦૦ પીપીએમ અને ઉત્તર પ્રદેશમાં ભેજનું પ્રમાણ ૧૨,૫૦૦ પીપીએમ સુધી જોવા મળ્યું હતું.
છત્તીસગઢમાં કસ્ટમરને કાર બદલી આપવા કોર્ટનો આદેશ
ઈ-૨૦ મુદ્દે અનેક વાહનચાલકો માઈલેજ ઘટવા, વ્હીકલના પરફોર્મન્સમાં ઘટાડા અને પાર્ટ્સમાં તકલીફો અંગે ફરિયાદ કરી રહ્યા છે. ઈ-૨૦ સંબંધિત એક કેસ છત્તીસગઢના રાયપુરની કન્ઝ્યુમર કોર્ટ પહોંચ્યો હતો. જુલાઈમાં કોર્ટે ઈ-૨૦થી નુકસાનનો દાવો કરનાર કસ્ટમરને મારુતિની નવી ગ્રાન્ડ વિટારા આપવા અથવા રૂ. ૨૦.૫ લાખ ચૂક્વવા આદેશ કર્યો હતો. કસ્ટમરની ફરિયાદ હતી કે, ઈ-૨૦ પેટ્રોલને કારણે તેની કાર વારંવાર અટકી જતી હતી. મારુતિએ આ ચૂકાદાને પડકાર્યો હતો. તેમણે કહ્યું કે, તેમની કાર ઈ-૨૦ પેટ્રોલથી ચાલી શકે તેવી છે. કાર બ્રેકડાઉન પાછળ પેટ્રોલમાં સ્થાનિક સ્તરે થતી ભેળસેળ જવાબદાર હોઈ શકે છે.

