VIDEO: કેબિનેટમાં વાપસીના માત્ર 25 જ દિવસમાં મોટો ભૂકંપ, કર્ણાટકમાં કોંગ્રેસ મંત્રીએ રડતાં રડતાં આપ્યું રાજીનામું
કર્ણાટક મહર્ષિ વાલ્મીકિ અનુસૂચિત જનજાતિ વિકાસ નિગમ કૌભાંડના આક્ષેપો વચ્ચે ઘેરાયેલા કોંગ્રેસ નેતા બી. નાગેન્દ્રએ મંત્રી પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. પુનઃ મંત્રી બન્યાના માત્ર 25 દિવસમાં જ વિપક્ષ ભાજપના ભારે વિરોધ અને પ્રહારો બાદ તેમણે પોતાનું રાજીનામું સોંપવાનો નિર્ણય લીધો છે.
દલિત હોવાના કારણે નિશાન બનાવવામાં આવતો હોવાનો આક્ષેપ
રાજીનામાની જાહેરાત દરમિયાન બી. નાગેન્દ્ર (B. Nagendra) એ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે રડતાં રડતાં જણાવ્યું હતું કે, 'શું વાલ્મીકિ નિગમના કોઈ વ્યવહારમાં ક્યાંય પણ મારી સહી છે? મને માત્ર એટલા માટે નિશાન બનાવવામાં આવી રહ્યો છે કારણ કે હું દલિત વર્ગમાંથી આવું છું.'
તેમણે વિપક્ષ પર નિશાન સાધતાં કહ્યું કે તેમના વિરુદ્ધ દરરોજ 1000 જૂઠાણાં ફેલાવવામાં આવી રહ્યા છે. બેંકોની ભૂમિકા સામે સવાલો ઉઠાવતાં તેમણે ઉમેર્યું કે, 'આ સમગ્ર મામલામાં બેંકો સામેલ હતી. જો બેંકોની સંડોવણી હોય, તો શું તેના માટે કેન્દ્રીય નાણાં મંત્રી જવાબદાર નથી? કર્ણાટકની જનતા બધું જ જોઈ રહી છે.'
શું છે સમગ્ર કૌભાંડનો મામલો?
મે 2024માં નિગમના એકાઉન્ટ સુપરિન્ટેન્ડેન્ટ પી. ચંદ્રશેખરન (P. Chandrasekaran)ની આત્મહત્યા બાદ 89.63 કરોડ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારનો મામલો સામે આવ્યો હતો. તે સમયે જનજાતિ કલ્યાણ મંત્રી રહેલા પૂર્વ મંત્રીએ જૂન 2024માં પદ છોડવું પડ્યું હતું.
25 દિવસમાં ફરી રાજીનામું આપવાની નોબત
3 ઓગસ્ટ 2026ના રોજ તેમને આયોજન અને આંકડાકીય વિભાગ સોંપીને ફરીથી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. જોકે ભાજપ અને જેડી(એસ) દ્વારા તેમના રાજીનામાની માંગ સાથે સદનથી લઈને રસ્તા સુધી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું અને 1 થી 10 સપ્ટેમ્બર સુધી રાયચુરથી બલ્લારી સુધી પદયાત્રા કાઢવાની જાહેરાત પણ કરાઈ હતી. વિરોધ વધુ ઉગ્ર બનતાં તેમણે જાતે જ પદ છોડવાનો નિર્ણય કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેઓ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર (CM DK Shivakumar) સાથે મુલાકાત કરીને ચર્ચા કર્યા બાદ પત્રકાર પરિષદમાં વિધિવત પોતાનું રાજીનામું સોંપશે.

