VIDEO: મોદી કેબિનેટમાં નવા મંત્રીઓની એન્ટ્રી પાક્કી, વિસ્તરણ પહેલા થઈ શકે છે મોટા ફેરફાર
ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરવામાં આવ્યા બાદ હવે દેશના રાજકીય વર્તુળોમાં મોદી કેબિનેટમાં સંભવિત ફેરબદલની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભાજપ સંગઠનમાં કરવામાં આવેલા મોટા વહીવટી ફેરફારો બાદ હવે આગામી ક્રમ કેન્દ્ર સરકારનો હોવાની અટકળો વહેતી થઈ છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. જોકે, ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ નીતિન નવીનની આગેવાની હેઠળની નવી ટીમની જાહેરાત બાદ, એવી અટકળો ચાલી રહી છે કે NDA (રાષ્ટ્રીય લોકશાહી જોડાણ) આ અંગે કોઈ જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, આ સંભવિત ફેરબદલમાં બે મંત્રીઓનો સમાવેશ નિશ્ચિત જણાય છે.નવા મંત્રીમંડળમાં કયા નેતાઓનો સમાવેશ થશે તે અંગે હાલમાં ફક્ત અટકળો ચાલી રહી છે. શરૂઆતમાં એવું સૂચવવામાં આવ્યું હતું કે જુલાઈમાં આ બાબતે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે, પરંતુ અત્યાર સુધી, શાસક ગઠબંધનના કોઈપણ પક્ષે કોઈ નિવેદન આપ્યું નથી.
વન પર્સન, વન પોસ્ટ' ફોર્મ્યુલા અને વરિષ્ઠ નેતાઓની ભૂમિકા
ભાજપની નવી રાષ્ટ્રીય ટીમમાં પિયૂષ ગોયલ, સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુર જેવા વરિષ્ઠ અને પ્રભાવશાળી ચેહરાઓને સંગઠનમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રાને દિલ્હી ભાજપના પ્રમુખ અને પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સંગઠનમાં આ નવી જવાબદારીઓ મળ્યા બાદ ભાજપના અગત્યના સિદ્ધાંત ‘વન પર્સન, વન પોસ્ટ’ (એક વ્યક્તિ, એક પદ) ના ફોર્મ્યુલા અંગે ચર્ચા જાગી છે. જો આ ફોર્મ્યુલાનો અમલ કડક રીતે કરવામાં આવશે, તો સંગઠન અને સરકાર વચ્ચે સંતુલન જાળવવા માટે કેટલાક મંત્રીઓની કેન્દ્ર સરકારમાંથી છુટ્ટી થઈ શકે છે અથવા તેમની ભૂમિકા બદલાઈ શકે છે.
પિયૂષ ગોયલ, હર્ષ મલ્હોત્રા અને પંકજ ચૌધરીની ભૂમિકા પર નજર
આ સંભવિત ફેરબદલમાં સૌથી વધુ ચર્ચા કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલની થઈ રહી છે. તેમને પક્ષના રાષ્ટ્રીય ખજાનચી (કોષાધ્યક્ષ) ની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. 'વન પર્સન, વન પોસ્ટ' ની નીતિને કારણે તેઓ મંત્રીપદ ચાલુ રાખશે કે પૂર્ણપણે સંગઠનની કામગીરીમાં જોડાશે તે બાબતે સવાલો ઊભા થયા છે. જો તેઓ સંગઠનમાં પૂર્ણ સમય ફાળવશે, તો વાણિજ્ય મંત્રાલય અન્ય કોઈ નેતાને સોંપાઈ શકે છે.
બીજી તરફ, હર્ષ મલ્હોત્રા કેન્દ્રમાં માર્ગ વાહનવ્યવહાર અને કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી છે અને હવે તેમને દિલ્હી ભાજપ પ્રમુખ બનાવાયા છે. દિલ્હી જેવા મહત્વના રાજકીય વિસ્તારનું પ્રમુખપદ અને મંત્રીપદ બંને એકસાથે સંભાળવું વ્યાવસાયિક રીતે મુશ્કેલ બની શકે છે. તે જ રીતે પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આગામી યુપી વિધાનસભા ચૂંટણીની દ્રષ્ટિએ તેમની ભૂમિકા અત્યંત મહત્વની છે. જોકે, તેમની સામાજિક અને રાજકીય ઉપયોગિતાને કારણે પક્ષ તેમને મંત્રી પરિષદમાં યથાવત પણ રાખી શકે છે.
12 ખાલી પદો, પ્રદેશિક સમીકરણો અને સહયોગી પક્ષોની એન્ટ્રી
કેબિનેટમાં ખાલી પડેલી 12 જગ્યાઓ ભરવા માટે પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને રાજકીય સમીકરણો ધ્યાનમાં લેવાય તેવી પૂરેપૂરી સંભાવના છે.
રાજ્યોનું પ્રતિનિધિત્વ: ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને કર્નાટક જેવા રાજ્યોને કેબિનેટમાં વધુ પ્રતિનિધિત્વ આપવાની વિચારણા ચાલી રહી છે.
સહયોગી પક્ષો: એનડીએ (NDA) ના સહયોગી પક્ષોને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. મહારાષ્ટ્રમાંથી એકનાથ શિંદે જૂથની શિવસેનાના નેતા શ્રીકાંત શિંદેનું નામ આ રેસમાં આગળ ચાલી રહ્યું છે, જે ભાજપ અને શિવસેનાના સંબંધોને વધુ મજબૂત કરવાનો સંકેત આપે છે.
નવા રાજ્યો પર ધ્યાન: પંજાબ જેવા રાજ્યમાં પણ બદલાતા રાજકીય સમીકરણોને આધારે નવા ચેહરાને તક મળવાની અટકળો છે.
મંત્રાલયોની પુનઃવહેંચણી અને વિસ્તૃત યોજના
12 ખાલી પદોનો અર્થ એવો નથી કે માત્ર 12 નવા ચેહરા જ સામેલ થશે. હાલમાં સરકારમાં કેટલાક એવા વરિષ્ઠ મંત્રીઓ છે જેઓ એક કરતા વધુ મહત્વના મંત્રાલયોનો કાર્યભાળ સંભાળી રહ્યા છે. આ ફેરબદલ દરમિયાન આ વધારાના વિભાગોની વહેંચણી અન્ય નેતાઓ વચ્ચે કરવામાં આવી શકે છે, જેથી વહીવટી કાર્યક્ષમતા વધારી શકાય અને વિવિધ ક્ષેત્રો તથા પ્રદેશો વચ્ચે સંતુલન જાળવી શકાય.
પાર્લામેન્ટરી બોર્ડમાં નવી પેઢીના નેતૃત્વ પર ધ્યાન
કેબિનેટ વિસ્તાર સિવાય ભાજપના સર્વોચ્ચ નિર્ણય લેનારા 'સંસદીય બોર્ડ' (Parliamentary Board) માં પણ મોટા ફેરફારોની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાના નામો ચર્ચામાં છે. જો આ નેતાઓને પાર્લામેન્ટરી બોર્ડમાં સ્થાન મળે છે, તો પક્ષની અંદર નવી પેઢીના નેતૃત્વની પકડ વધુ મજબૂત બનશે.
2029ની લોકસભા ચૂંટણી અને આગામી વિધાનસભા સંગ્રામની તૈયારી
ભાજપના સંગઠનાત્મક ફેરફારો અને સંભવિત કેબિનેટ ફેરબદલને અલગ ઘટનાઓ તરીકે જોવામાં આવતા નથી, પરંતુ તે એક દૂરંદેશી રાજકીય રણનીતિનો ભાગ છે. પક્ષ આગામી વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ સાથે વર્ષ 2029ની લોકસભા ચૂંટણી માટે અત્યારથી જ પાયો મજબૂત કરી રહ્યો છે. સરકાર અને સંગઠન વચ્ચે કામગીરીની યોગ્ય વહેંચણી કરીને પક્ષ પોતાની રાજકીય પકડ વધુ મજબૂત કરવા માંગે છે.
જોકે, મંત્રીમંડળ પુનર્ગઠન અંગે સત્તાવાર મહોર લાગવાની બાકી છે, પરંતુ આ અટકળોએ દિલ્હીના રાજકીય તાપમાનમાં ચોક્કસપણે વધારો કરી દીધો છે.

