શિવસેના (UBT)માં મોટું સંકટ? ઉદ્ધવની ઈમરજન્સી મીટિંગમાંથી 3 સાંસદોની ગેરહાજરી, ફોન પણ સ્વિચ ઓફ

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેર અને ભારે રાજકીય ભૂકંપના સંકેતો મળી રહ્યા છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (Shivsena UBT) જૂથની ચિંતામાં ધરખમ વધારો કરતાં સમાચાર સામે આવ્યા છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે રવિવારે મુંબઈ સ્થિત પોતાના નિવાસસ્થાન 'માતોશ્રી' પર તમામ સાંસદોની એક અત્યંત મહત્ત્વની અને ઈમરજન્સી બેઠક બોલાવી હતી. પરંતુ આ સંવેદનશીલ બેઠક શરૂ થાય તે પહેલાં જ શિરડી લોકસભા બેઠકના સાંસદ ભાઉસાહેબ વાકચૌરે સંપર્ક વિહોણા થઈ ગયા છે અને અન્ય બે સાંસદો પણ બેઠકમાં પહોંચ્યા નથી.
'માતોશ્રી' પર કટોકટીની બેઠક અને સાંસદો ગાયબ!
મળતી માહિતી અનુસાર, ઉદ્ધવ ઠાકરેએ દિલ્હીમાં હાજર પોતાના તમામ સાંસદોને તાત્કાલિક મુંબઈ પહોંચવા આદેશ આપ્યો હતો. આગામી રાજકીય પરિસ્થિતિઓ અને સંસદના આગામી સત્રને લઈને વ્યુહરચના ઘડવા માટે બપોરે 12:30 વાગ્યે આ બેઠકનું આયોજન કરાયું હતું.
ફોન બંધ, પીએ પણ ગાયબ
શિરડીના સાંસદ ભાઉસાહેબ વાકચૌરેનો મોબાઇલ ફોન સવારથી જ સતત બંધ આવી રહ્યો છે. તેઓ છેલ્લા બે દિવસથી પરિવાર સાથે ક્યાંક બહાર ગયા છે અને આશ્ચર્યની વાત એ છે કે તેમના પર્સનલ આસિસ્ટન્ટ(PA)નો પણ કોઈ પત્તો નથી.
અન્ય બે સાંસદોની પણ ગેરહાજરી
સૂત્રોના જણાવ્યા મુજબ, સાંસદ સંજય જાધવ અને નાગેશ પાટીલ અષ્ટિકરે પણ પક્ષને જાણ કરી દીધી છે કે તેઓ કોઈ અંગત કારણોસર આજે ઉદ્ધવ ઠાકરેની આ ઈમરજન્સી બેઠકમાં હાજર રહી શકશે નહીં.
મુખ્યમંત્રી શિંદેનું 'ઓપરેશન ટાઇગર': શું ફરી ભંગાણ પડશે?
મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં આ સમયે મુખ્યમંત્રી એકનાથ શિંદેના 'ઓપરેશન ટાઇગર' ને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ જ ઓપરેશનના ડરથી ઉદ્ધવ ઠાકરેએ ઉતાવળે આ બેઠક બોલાવવી પડી છે.
9માંથી 7 સાંસદો સંપર્કમાં હોવાનો દાવો
હાલમાં લોકસભામાં ઉદ્ધવ જૂથ (UBT) પાસે કુલ 9 સાંસદો છે અને રાજ્યસભામાં માત્ર સંજય રાઉત બચ્યા છે. પાછલા કેટલાક દિવસોથી શિંદે જૂથ અને સત્તાધારી પક્ષના નેતાઓ સતત એવો દાવો કરી રહ્યા છે કે ઉદ્ધવ જૂથના 9માંથી ઓછામાં ઓછા 7 સાંસદો મુખ્યમંત્રી એકનાથ શિંદેના સીધા સંપર્કમાં છે. આ સાંસદો ગમે ત્યારે પક્ષપલટો કરીને શિંદે જૂથમાં જોડાઈ શકે છે તેવી અટકળોએ જોર પકડ્યું છે.
ઉદ્ધવ ઠાકરેની અગ્નિપરીક્ષા: કયા સાંસદો પર છે નજર?
પોતાના જૂથને એકજૂથ રાખવા માટે ઉદ્ધવ ઠાકરેએ જે લોકસભા સાંસદોને હાજર રહેવા કડક આદેશ આપ્યો છે તેમાં નીચેના નામ સામેલ છે:
1. સંજય દેશમુખ
2. નાગેશ પાટીલ
3. સંજય જાધવ
4. રાજાભાઉ વાજે
5. અરવિંદ સાવંત
6. અનિલ દેસાઈ
7. સંજય દીના પાટીલ
8. ભાઉસાહેબ વાકચૌરે
9. ઓમરાજે નિંબાલકર
જો ભાઉસાહેબ વાકચૌરે સહિતના સાંસદો આ બેઠકમાં નહીં પહોંચે, તો શિવસેના (UBT) માટે આ બહુ મોટો આંચકો સાબિત થશે અને મહારાષ્ટ્રમાં ફરી એકવાર શિવસેનાના બે ફાડચા થવાની સ્થિતિ સર્જાશે. હાલમાં 'માતોશ્રી' ખાતે ભારે હલચલ મચી ગઈ છે.

