VIDEO: અભિનેતા રાજપાલ યાદવને મોટો ફટકો: દિલ્હી હાઈકોર્ટે તમામ 21 કેસ ફગાવ્યા, 3 મહિનાની જેલ અને કરોડો રૂપિયાનો દંડ
જાણીતા બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડનું પ્રતિનિધિત્વ કરી રહેલા એડવોકેટ અવનિશ સિક્કાના જણાવ્યા અનુસાર, દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવ દ્વારા દાખલ કરવામાં આવેલી તમામ 21 અરજીઓ ફગાવી દીધી છે અને સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે.
કોર્ટે સંભળાવી 3 મહિનાની જેલ અને દંડની સજા
અદાલતે રાજપાલ યાદવને ૩ મહિનાની જેલની સજા ભોગવવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ તેમને પ્રત્યેક કેસમાં ₹1.05 કરોડનો દંડ ચૂકવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. જો કે, આ તમામ 21 કેસમાં ૩ મહિનાની જેલની સજા એકસાથે ચાલશે. આ કેસમાં રાજપાલ યાદવના પત્ની રાધા રાજપાલ યાદવ પણ સહ-આરોપી હતા, જેમને કોર્ટે પ્રત્યેક કેસમાં ₹5 લાખનો દંડ ભરવાનો આદેશ કર્યો છે.
જામીન/રાહત આપવાનો કોર્ટનો ઇનકાર
ચુકાદાની જાહેરાત દરમિયાન રાજપાલ યાદવના વકીલે કોર્ટ સમક્ષ પ્રોબેશનની માંગ કરી હતી, પરંતુ અદાલતે આ રાહત આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અદાલતે નોંધ્યું હતું કે રાજપાલ યાદવે અગાઉ કોર્ટને આપેલી બાંહેધરીઓનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે. વધુમાં, કેસની છેલ્લી સુનાવણી દરમિયાન રાજપાલ યાદવે એવું નિવેદન આપ્યું હતું કે, "હું 5 વખત જેલમાં જવા તૈયાર છું પણ એક પાઈ (પૈસો) પણ નહીં ચૂકવું." તેમના આ વલણને કોર્ટે ગંભીરતાથી લીધું છે.
સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા 2 મહિનાનો સમય
કોર્ટે આ આદેશનું પાલન કરવા અથવા આ સજાના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે રાજપાલ યાદવને 2 મહિનાનો સમય આપ્યો છે. જો આ સમયગાળામાં તેઓ કોઈ રાહત મેળવવામાં નિષ્ફળ રહેશે, તો તેમણે જેલના સળિયા ગણવા પડશે.

