Ayodhya news: અયોધ્યામાં ગૅસ સિલિન્ડરમાં વિસ્ફોટથી 5 લોકોનાં મોત, કેટલાક લોકો કાટમાળમાં દટાયા

Ayodhya news: અયોધ્યાના ગ્રામીણ વિસ્તાર પુરાકલંદરમાં ગૅસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘર ધરાશાયી થયું હતું. આ ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટના પાગલા ભારી ગામમાં બની હતી. કાટમાળ નીચે ઘણા લોકો ફસાયેલા હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલી રહી છે, અને ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી.
સિલિન્ડર વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેનો પડઘો ઘણા મીટર દૂર સુધી સંભળાયો. ઘરનો કાટમાળ દૂર-દૂર સુધી ફેલાયો હતો. ભયંકર બ્લાસ્ટના કારણે આસપાસના ઘરો અને દુકાનોને પણ નુકસાન થયું.
અયોધ્યાના CO દેવેશ ચતુર્વેદીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એ સ્પષ્ટ થયું છે કે ઘરમાં ગૅસ સિલિન્ડરથી આ દુર્ઘટના બની. જો કે, તંત્ર દ્વારા દુર્ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સુરક્ષા અને બચાવને ધ્યાને રાખીને પોલીસ અને તંત્ર એલર્ટ છે અને કાટમાળમાં દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે

