VIDEO :'PM MODI રાજીનામું આપી દો, ટ્રમ્પના ગુલામ બનવાની જરૂર નથી' : કેજરીવાલ
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એલપીજી ગેસની અછત અંગે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. કેજરીવાલે PM MODI પર નિશાન સાધતા તેમને "ટ્રમ્પના ગુલામ" ગણાવ્યા. આપના રાષ્ટ્રીય સંયોજકે આરોપ લગાવ્યો કે, ટ્રમ્પ પાસે પીએમ મોદી વિશે કંઈક રહસ્ય છે, જેના કારણે તેઓ દેશને બરબાદ કરી રહ્યા છે. કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાને યુદ્ધમાં અમેરિકા અને ઇઝરાયલનો સાથ આપ્યો અને ઈરાનને પોતાનો દુશ્મન બનાવ્યો, જેના કારણે આ કટોકટી ઊભી થઈ છે.
કેજરીવાલે એલપીજી સંકટ મુદ્દે પત્રકાર પરિષદ યોજીને સરકારની વિદેશ નીતિની ટીકા કરી. તેમણે ગેસ પુરવઠાની અછત માટે PM MODIને સીધા જવાબદાર ઠેરવતા કહ્યું કે, આનાથી 1 કરોડ લોકો નોકરીઓ ગુમાવી શકાય છે. દેશ હાલમાં ખૂબ જ ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યો છે. દેશભરમાં એલપીજી ગેસની તીવ્ર અછત છે. આનું કારણ એ છે કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થયો છે. દેશમાં 60 ટકા ગેસ આયાત કરવામાં આવે છે,જેમાંનો 90 ટકા હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવતો હતો, જે યુદ્ધને કારણે બંધ થઈ ગયો છે.કેજરીવાલે કહ્યું કે ઈરાન રશિયા અને ચીન જેવા મિત્રોને અહીંથી પસાર થવાની મંજૂરી આપે છે પરંતુ ભારતને નહીં.
કેજરીવાલે કહ્યું કે, 75 વર્ષથી ભારતની વિદેશ નીતિ બિન-જોડાણવાદ પર આધારિત હતી, જેને પીએમ મોદીએ નષ્ટ કરી દીધી છે. કેજરીવાલે કહ્યું, "યુદ્ધ શરૂ થયાના એક દિવસ પહેલા તેમને ઇઝરાયલ જવાની જરૂર કેમ પડી? તેમણે આખા દેશને સંકટમાં મૂકી દીધો. તેઓ આવું કેમ કરી રહ્યા છે તે સમજની બહાર છે. ભારત હંમેશા બિન-જોડાણવાદનું સમર્થક રહ્યું છે. આપણે જૂના મિત્ર ઈરાનને આપણો દુશ્મન બનાવી દીધો છે.
કેજરીવાલે કહ્યું કે દેશના મોટા શહેરો જેવા કે, મુંબઈ, તમિલનાડુ, દિલ્હી-એનસીઆર, બિહાર, રાજસ્થાન વગેરે શહેરોમાં હજારો હોટલો બંધ થઈ ગઈ છે, અને આવનારા દિવસોમાં વધુ બંધ થશે. માત્ર ગુજરાતના મોરબીમાં જ ટાઈલ્સ વ્યવસાય સાથે સંકળાયેલા 1 લાખ લોકો બેરોજગાર થઈ ગયા છે,દેશમાં ટૂંક સમયમાં 1 કરોડથી વધુ લોકો બેરોજગાર થવાની સંભાવના છે.
પીએમ મોદી ટ્રમ્પના ગુલામ હોય તેમ વર્તે છે
વડાપ્રધાન પર વ્યક્તિગત પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું, "પીએમ મોદી ટ્રમ્પના ગુલામ બની ગયા હોય તેમ લાગે છે. ટ્રમ્પ જે આદેશ આપે છે તે પીએમ માની લે છે. રશિયા પાસેથી તેલ ન ખરીદવાનું કહીને દેશને 8 લાખ કરોડનું નુકસાન કરાવ્યું. મને ડર છે કે પીએમ મોદીનું કોઈ એવું રહસ્ય ટ્રમ્પ પાસે છે જેને જાહેર કરવાની ધમકી આપીને ટ્રમ્પ તેમને બ્લેકમેલ કરી રહ્યા છે." "જો મોદીને પોતાનું રહસ્ય ખુલવાનો ડર હોય તો તેમણે રાજીનામું આપી દેવું જોઈએ, પરંતુ દેશને બરબાદ ન કરવો જોઈએ. 140 કરોડના આ મહાન દેશને પીએમએ અમેરિકાની કોલોની બનાવી દીધો છે."

