'સત્તા મળતાં જ રાજ્ય શાહી પરિવારનું બને છે ATM', ભારત વિરોધી તાકાત 370ની સમર્થકઃ પીએમ મોદી

મહારાષ્ટ્રમાં ચૂંટણી રેલીઓ ગજવતા પીએમ મોદીએ અકોલામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. જનસભામાં પીએમ મોદીએ કહ્યું કે, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક જેવા રાજ્યો “શાહી” પરિવારના ATM બની ગયા છે. પીએમ મોદીએ કહ્યું કે વિપક્ષ મહા વિકાસ આઘાડીનો અર્થ જ ભ્રષ્ટાચાર અને હજારો કરોડ રૂપિયાના કૌભાંડો. પીએમ મોદીએ દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને “એક છીએ તો સુરક્ષિત છીએ”નું સૂત્ર આપીને એક થવા અપીલ કરી હતી.
આ પણ વાંચોઃ VIDEO: PM મોદીએ લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈને મોડી રાત્રે જન્મદિવસની શુભેચ્છા પાઠવી
પીએમ મોદીએ કહ્યું કે, આજે 9 નવેમ્બર એક ઐતિહાસિક દિવસ છે. આ દિવસે વર્ષ 2019માં દેશની સર્વોચ્ચ અદાલતે રામ મંદિર પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ દિવસને રાષ્ટ્રની એકતાના પ્રતિક તરીકે ગણાવતા તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દેશના તમામ ધર્મના લોકોએ જે સંવેદનશીલતા દાખવી છે તે 'નેશન ફર્સ્ટ'ની ભાવનાનું સૌથી મોટું ઉદાહરણ છે, જે ભારતની સૌથી મોટી તાકાત છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરમાં 'સૌની યોજના' માત્ર કાગળ પર, લોકસભા ચૂંટણી પ્રચારમાં મુખ્યમંત્રીએ કરેલો વાયદો ના થયો પૂરો
ભારત વિરોધી શક્તિઓ હંમેશા કલમ 370નું સમર્થન કરે છે
પીએમ મોદીએ જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાનો ઠરાવ પસાર કરવા પર કોંગ્રેસ અને તેના સાથી પક્ષો પર આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે લોકોને પૂછ્યું, "શું જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ફરીથી લાગુ કરવી જોઈએ?" લોકોએ તેનો સ્પષ્ટ વિરોધ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે, અલગતાવાદીઓ, આતંકવાદી સંગઠનો અને ભારત વિરોધી શક્તિઓ હંમેશા કલમ 370નું સમર્થન કરે છે, અને હવે આ કોંગ્રેસની પણ ભાષા બની ગઈ છે.
મહારાષ્ટ્રના લોકોનો ભાજપમાં ભરોસો
મહારાષ્ટ્રના લોકોના વખાણ કરતા પીએમ મોદીએ કહ્યું કે મિત્રો, 2014થી 2024 સુધીના આ 10 વર્ષોમાં મહારાષ્ટ્રે સતત ભાજપને દિલથી આશીર્વાદ આપ્યા છે. મહારાષ્ટ્રના લોકો દ્વારા ભાજપ ઉપર ભરોસો રાખવાનું એક કારણ અહીંના લોકોની દેશભક્તિ અને રાજકીય સમજણ અને દૂરંદેશી છે. એટલે જ મારા માટે મહારાષ્ટ્રની સેવા કરવાનો આનંદ કંઈક અલગ છે.
પીએમ મોદીએ કહ્યું કે કેન્દ્રમાં અમારી સરકારને માત્ર 5 મહિના જ થયા છે. આ 5 મહિનામાં લાખો-કરોડો રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર સાથે સંબંધિત મોટી સંખ્યામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પણ છે.
ભાજપ જીતશે તો મુખ્યમંત્રી કોણ બનશે?
પીએમ મોદીએ ધૂલેની જેમ આજે ફરી એકવાર અનુસૂચિત જાતિ સમુદાયને એકજૂટ થવાનું આહ્વાન કર્યું. સાથે ચેતવણી ઉચ્ચારી કે કોંગ્રેસ તેમની વચ્ચેના મતભેદો અને વિભાજનનો લાભ લેવા માંગે છે. જો તમે એક ના થયા અને પેટા જ્ઞાતિઓમાં વિભાજિત થશો તો કોંગ્રેસ તેનો ફાયદો ઉઠાવશે અને એસસી સમુદાયના અધિકારો છીનવી લેશે.
જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ રવિવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો એટલે કે ઠરાવ પત્ર જાહેર કરવા જઈ રહી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.

