અજિત પવાર પંચમહાભૂતમાં વિલીન, બારામતીમાં રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું બુધવારે વિમાન દુર્ઘટનામાં આકસ્મિક નિધન થયું હતું. આજે અજિત પવારના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, નીતિન ગડકરી, રાજ ઠાકરે, નીતિન નવીન અને પ્રમોદ સાવંત સહિત સંખ્યાબંધ નેતાઓ હાજર રહ્યા હતા.બન્ને પુત્રોએ પિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા. આ સમય દરમિયાન, પવાર પરિવારના તમામ સભ્યો, રાજકારણીઓ, એનસીપી કાર્યકરો અને ત્યાં એકઠા થયેલા હજારો જનતા ભાવુક થઈ ગયા હતા.
મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજ્ય શોક
નાયબ મુખ્યમંત્રીના અવસાન બાદ મહારાષ્ટ્રમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાઇલટ કેપ્ટન સુમિત કપૂરના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
અજિત પવારના મૃતદેહની ઓળખ ઘડિયાળ દ્વારા થઈ
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારની કાંડા ઘડિયાળ તેમના મૃતદેહની ઓળખ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ. જ્યારે ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચ્યા, ત્યારે ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ આગમાં લપેટાઈ ગયો હતો. બારામતી એરપોર્ટ પર રનવેની ધારથી 200 મીટર દૂર કાટમાળ વિખેરાઈ ગયો હતો.

