મોદી સરકારના રાજમાં ખાંડ બાદ હવે ડુંગળી રડાવશે! દિલ્હીમાં ₹65 તો ચેન્નાઈમાં ₹58 કિલો પહોંચ્યો ભાવ

ખાંડ બાદ હવે ડુંગળીની વધતી કિંમતે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે. દેશમાં ડુંગળીનો ભાવ 42 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે. જે ગયા વર્ષના ભાવ કરતાં અંદાજે 45 ટકા વધુ છે. કેટલાક શહેરમાં તેના કરતાં પણ વધારે ભાવ છે. એવામાં કેન્દ્ર સરકારે બફર સ્ટોક માર્કેટમાં ઉતારવાનું નક્કી કર્યું છે. સરકાર સોમવારે નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી માટે ‘કાંદા એક્સપ્રેસ’ ચલાવશે. આ શહેરોમાં ડુંગળીનો ભાવ ખૂબ જ વધારે છે. સરકાર જરૂરી ડુંગળી પહોંચાડીને કિંમતો પર લગામ રાખવાનો પ્રયત્ન કરે છે.
દિલ્હીમાં ડુંગળી 65 રૂપિયા કિલો, ચેન્નાઈમાં 58 રૂપિયા
ઉપભોક્તા વિભાગના આંકડા પ્રમાણે, દિલ્હીમાં શનિવારે ડુંગળીનો ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો રહ્યો છે. એક વર્ષ પહેલા આ જ સમયે ડુંગળી 35 રૂપિયા કિલોના ભાવે વેચાતી હતી. એટલે કે દિલ્હીમાં લગભગ ડબલ ભાવ થઈ ગયો છે. ચેન્નાઈમાં પણ ભાવ 58 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે. જ્યારે ગયા વર્ષે અહીં 33 રૂપિયા કિલો ભાવ હતો. કેરળ અને આસામના કેટલાક વિસ્તારમાં પણ ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે.
સરકારી અધિકારીઓનું કહેવું છે કે, બફર સ્ટોકમાંથી ડુંગળીનું વેચાણ મોટા પ્રમાણમાં નહીં કરવામાં આવે. બજારની સ્થિતિ જોઈને તબક્કાવાર રીતે સપ્લાય વધારવામાં આવશે. સરકારને આશંકા છે કે, કેટલાક વેપારીઓ જાણીજોઈને કૃત્રિમ રીતે ભાવ વધારવાની કોશિશ કરી રહ્યા છે.
ડુંગળીના ભાવ કેમ વધ્યાં?
ડુંગળીની કિંમતોમાં વધારાનું એક મુખ્ય કારણ એ છે કે, મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો છે. મહારાષ્ટ્ર દેશનું સૌથી વધુ ડુંગળી પકવતું રાજ્ય છે. બજારમાં જોડાયેલા કેટલાક લોકોના જણાવ્યા પ્રમાણે, અહીં ખરીફ ડુંગળીનું ઉત્પાદન અંદાજે 5થી 7 ટકા જેટલું ઓછું થયું છે. જો કે, સરકારનું કહેવું છે કે, આગામી મહિનાઓમાં માગ પૂરી કરવા માટે ડુંગળીનો સ્ટોક હાજર છે. ખેડૂતો અને સરકારી ભંડાર બંને જગ્યાએ સ્ટોક હાજર છે.
નાફેડ અને NCCFએ 1.2 લાખ ટન ખરીદી કરી
કેન્દ્ર સરકાર પાસે બફર માટે ડુંગળી ખરીદવાની જવાબદારી નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યૂમર્સ ફેડરેશન એટલે કે NCCF જેવી એજન્સીઓને સોંપવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષમાં બંને એજન્સીઓએ અંદાજે 1.2 લાખ ટન ડુંગળી ખરીદી ચૂકી છે. ડુંગળીની સરકારી ખરીદી વધારવા માટે ખરીદ કિંમતમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે તેની કિંમત વધારીને 2,645 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી દીધો છે. સરકારની કોશિશ છે કે, વધુમાં વધુ ડુંગળી ખરીદીને તેનો બફર સ્ટોક મજબૂત કરવામાં આવે, જેથી બજારમાં કિંમત વધે તો જરૂરિયાત પ્રમાણે બફર સ્ટોક માર્કેટમાં ઉતારી શકાય.
કુલ ઉત્પાદનમાં મોટા કડકાની સંભાવના નથી
કૃષિ મંત્રાલયના અન્ય એક અનુમાન પ્રમાણે, 2025-26 દરમિયાન ડુંગળીનું ઉત્પાદન અંદાજે 307 લાખ ટન રહેવાનું અનુમાન છે. આ ઉત્પાદન 2024-25 જેટલું જ છે. એટલે કે, કુલ ઉત્પાદનમાં કડાકાની સંભાવના નથી, પરંતુ અલગ અલગ રાજ્યોમાં ઉત્પાદન અને સપ્લાયની સ્થિતિ કિંમત પર અસર કરી રહી છે.
ગયા વર્ષે પણ કાંદા એક્સપ્રેસ ચલાવાઈ હતી
ડુંગળીની કિંમતો કાબૂમાં કરવા માટે સરકાર પહેલાં પણ કાંદા એક્સપ્રેસ ચાલાવી ચૂકી છે. ઓક્ટોબર 2024માં નાસિકથી દિલ્હી અને દેશના બીજા કેટલાક વિસ્તારોમાં ડુંગળી પહોંચાડવા માટે આવી ટ્રેનો ચલાવવામાં આવી હતી. આ વખતે પણ સરકારનું ફોકસ એ શહેરો પર છે, જ્યાં ડુંગળીનો ભાવ વધુ છે. સસ્તી સપ્લાય પહોંચાડવા માટે સ્થાનિક બજારમાં કિંમતો પર દબાણ આવવાની શક્યતા છે.
ખાંડના ભાવ પણ પરેશાની વધારે છે
ડુંગળીના ભાવની અસર માત્ર બજેટ પર નથી થઈ રહી. ખાંડના ભાવમાં તેજી જોવા મળી રહી છે. શનિવારે છૂટક ખાંડનો ભાવ 62.5 રૂપિયા હતો. એક મહિના પહેલાં અંદાજે 46 રૂપિયા પ્રતિ કિલો હતો. એટલે કે મહિનામાં કિંમત 28.5 ટકા સુધી વધી ગઈ છે. ગયા વર્ષની સરખામણીએ ખાંડ અંદાજે 34 ટકા મોંઘી છે. દિલ્હીમાં ખાંડનો ભાવ 65 રૂપિયા પ્રતિ કિલો અને મુંબઈમાં 69 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જો કે, ખાદ્ય મંત્રાલયનું કહેવું છે કે, દેશમાં પૂરતી ખાંડ છે.

