VIDEO : મહિલા અનામત બિલ: 'સીમાંકનમાં કોઈ રાજ્ય સાથે ભેદભાવ નહીં, આ મારી ગેરંટી'; લોકસભામાં PM MODI
લોકસભામાં મહિલા અનામત અને સીમાંકન અંગે ચાલી રહેલી ચર્ચા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની લોકશાહી યાત્રા અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકતા એક પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. તેમણે આ બિલને ભારતની વિકાસયાત્રામાં એક "નવો આયામ" ગણાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદને સંબોધતાં ત્રણેય મહત્ત્વપૂર્ણ બિલ અંગે કહ્યું કે આ એક ઐતિહાસિક ક્ષણ છે.
લોકશાહીને વધુ સશક્ત બનાવશે
લોકસભામાં સીમાંકન (પરિસીમન) બિલ પર ચર્ચાની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના જીવનમાં કેટલીક એવી મહત્ત્વની ક્ષણો આવે છે જે સમાજની મનોસ્થિતિને મજબૂત ધરોહરમાં ફેરવી દે છે અને સંસદના ઈતિહાસમાં આ તેવી જ એક ક્ષણ છે. વડાપ્રધાને ભારતને 'મધર ઓફ ડેમોક્રેસી' ગણાવતા ઉમેર્યું હતું કે, આપણી આ હજારો વર્ષોની વિકાસયાત્રાનું એક અત્યંત ગૌરવશાળી પગલું છે જે લોકશાહીને વધુ સશક્ત બનાવશે.
વડાપ્રધાને ભૂતકાળને યાદ કરતા જણાવ્યું હતું કે, મહિલા અનામતનો વિચાર 25થી 30 વર્ષ પહેલાં રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે સ્વીકાર્યું હતું કે આ વિચાર જ્યારે પ્રથમ વખત આવ્યો ત્યારે જ તેનો અમલ થવો જોઈતો હતો. જોકે, તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે વર્તમાન સરકારે આ વિચારને હવે પરિપક્વતાના તબક્કે પહોંચાડ્યો છે.
લોકશાહીની સુંદરતા અને સુધારા
વડાપ્રધાન મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, "સમય અને જરૂરિયાત મુજબ પરિવર્તન અને સુધારો થવો એ જ લોકશાહીની ખરી સુંદરતા છે. ભારત માત્ર એક લોકશાહી દેશ નથી, પરંતુ તે 'લોકશાહીની જનની' છે. ભારતની લોકશાહી હજારો વર્ષોની વિકાસયાત્રાનું પરિણામ છે. આજે સંસદના તમામ સભ્યો પાસે આ ભવ્ય યાત્રામાં એક નવો અધ્યાય જોડવાની પવિત્ર અને સૌભાગ્યશાળી તક છે.
મહિલાઓ હવે નિર્ણય લેવાની પ્રક્રિયામાં જોડાવા તૈયાર છે - પીએમ મોદી
પીએમ મોદીએ જણાવ્યું કે, જ્યારે તેઓ સંગઠનના કાર્યકર હતા ત્યારે એવી ચર્ચાઓ થતી હતી કે પંચાયતોમાં અનામત સરળતાથી આપી દેવામાં આવે છે કારણ કે તેમાં નેતાઓને પોતાનું પદ ગુમાવવાનો ડર હોતો નથી. આ ડરના અભાવે પંચાયતોમાં મહિલા અનામત 50 ટકા સુધી પહોંચી ગયું. તેમણે વધુમાં ઉમેર્યું કે, જે લોકોએ 30 વર્ષ પહેલા આનો વિરોધ કર્યો હતો તેઓ ભલે રાજકીય રીતે સક્રિય રહ્યા હોય, પરંતુ આજે પાયાના સ્તરે (ગ્રાઉન્ડ લેવલ પર) લાખો બહેનો પ્રખર અને જાગૃત બની છે. પંચાયતોમાં કામ કરી ચૂકેલી આ લાખો મહિલાઓ હવે આત્મવિશ્વાસ સાથે સંસદ જેવી ઉચ્ચ નિર્ણય પ્રક્રિયામાં પોતાની ભાગીદારીની માંગ કરી રહી છે.
મહિલા અનામતનો જે લોકો વિરોધ કરશે, તેમણે લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે
આ બિલ માટે દરેક પક્ષના લોકોને મળવાનું થયું હતું, પરંતુ કોઈએ આ પ્રક્રિયાનો સૈદ્ધાંતિક વિરોધ નહોતો કર્યો, એક પક્ષને છોડીને. પરંતુ આજે હું તમને બધાને, એક મિત્ર તરીકે, સલાહ આપવા માંગુ છું. આ બિલનો વિરોધ કરનારાને મહિલાઓએ માફ નથી કર્યા. 2024માં આ બિલનો કોઈએ વિરોધ ના કર્યો. જો આપણે બધા સાથે રહીશું, તો ઈતિહાસ સાક્ષી છે કે આ કોઈ એક પક્ષની તરફેણમાં નહીં હોય, પરંતુ દેશની સામૂહિક નિર્ણય શક્તિની તરફેણમાં જશે. તેનો યશ તમામને મળશે.
મહિલા અનામતનો જે લોકો વિરોધ કરશે, તેમણે લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે. આમાં પણ જેમને રાજકારણની દુર્ગંધ આવે છે, તો લોકો આને રાજકીય રંગ ના આપે. તેઓ છેલ્લી ચૂંટણીના પરિણામો જોઈ લે, તેમના માટે આ જ હિતાવહ છે. એટલે સમજદારી એમાં જ છે કે, મહિલાઓની ગ્રાસરૂટ લેવલ પર જે લીડરશિપ ઊભી થઈ છે, તેને તમારે સ્વીકારવી પડશે. હવે દેશની બહેનો પર ભરોસો કરો, તેમની સમજદારી પર વિશ્વાસ કરો. એકવાર અહીં 33 ટકા મહિલાઓને અહીં આવવા દો, પછી તેઓ નિર્ણય કરશે. તેમને એકવાર સંસદમાં આવવા તો દો.
આ ઐતિહાસિક સુધારા સાથે ભારત આવનારા સમયમાં મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસ (Women-led Development) તરફ વધુ મજબૂતીથી આગળ વધશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

