સરકારના એક નિર્ણયથી પંજાબ-હરિયાણાને લાગશે મોટો ઝટકો, શું છે અનુચ્છેદ 240, કેમ થઈ રહ્યો છે વિરોધ?

સરકારના એક નિર્ણયથી હરિયાણા-પંજાબને મોટો ઝટકો લાગશે. કેન્દ્ર સરકાર ચંદીગઢને બંધારણના અનુચ્છેદ 240 હેઠળ લાવવાની તૈયારી કરી રહી છે. તેના માટે સંસદના આગામી શિયાળુ સત્રમાં બંધારણનું 131મું સુધારો બિલ રજૂ કરવામાં આવશે. આ પગલાનો ઉદ્દેશ્ય ચંદીગઢના વહીવટને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)સાથે લાવવાનો છે. લોકસભા સચિવાલયના બુલેટિન પ્રમાણે આ બિલનો ઉદ્દેશ્ય ચંદીગઢને બંધારણના અનુચ્છેદ 240માં સામેલ કરવાનો છે.
ચંદીગઢ પણ થઈ જશે અલગ કેન્દ્રશાસિત પ્રદેશ
આ પગલાથી ચંદીગઢ અન્ય બિન-વિધાનસભા વાળા કેન્દ્રશાસિત પ્રદેશો જેમ કે, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ અને પુડુચેરી સમાન થઈ જશે. વર્તમાનમાં પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની ચંદીગઢનો વહીવટ પંજાબના રાજ્યપાલ દ્વારા સંભાળવામાં આવે છે. અનુચ્છેદ 240 હેઠળના તમામ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વતંત્ર વહીવટકર્તાઓ હોય છે. આ ફેરફાર ચંદીગઢને એક સ્વતંત્ર વહીવટકર્તા આપવાની સંભાવનાને જન્મ આપે છે.
બંધારણનો અનુચ્છેદ 240 ભારતના રાષ્ટ્રપતિને કેટલાક કેન્દ્રશાસિત પ્રદેશો માટે સીધા નિયમો બનાવવાનો અધિકાર આપે છે. તે રાષ્ટ્રપતિને તે કેન્દ્રશાસિત પ્રદેશોની શાંતિ, પ્રગતિ અને સુશાસન માટે નિયમો બનાવવાનો અધિકાર આપે છે. આ અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ દ્વારા બનાવવામાં આવેલા કોઈપણ નિયમનમાં સંસદ દ્વારા બનાવેલા કોઈપણ કાયદાને રદ કરવાની અથવા તેમાં સુધારો કરવાની શક્તિ હોય છે અને તેને સંસદના કાયદા જેટલું જ કાનૂની બળ અને પ્રભાવ પ્રાપ્ત થાય છે.
પંજાબ કરી રહ્યું વિરોધ
આ પગલું પંજાબ અને હરિયાણા બંને માટે ખૂબ જ સંવેદનશીલ રાજકીય મુદ્દો છે, કારણ કે બંને ચંદીગઢ પર પોતાનો પૂર્ણ દાવો કરે છે. આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ વિક્રમજીત સિંહ સાહની અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સહિતના નેતાઓએ આ પગલાનો સખત વિરોધ કર્યો છે. પંજાબના સીએમએ ભારપૂર્વક જણાવ્યું કે, 'ચંદીગઢ હંમેશા પંજાબનું અભિન્ન અંગ રહેશે.' સાહનીએ કહ્યું કે, 'ચંદીગઢના વિભાજન બાદ પંજાબની રાજધાની બનવાનું ઐતિહાસિક મહત્વ છે અને કેન્દ્રએ અનેક કરારો હેઠળ ચંદીગઢને પંજાબની રાજધાની બનાવવાનો વાયદો કર્યો હતો.'
વિરોધ કરનારા નેતાઓનું માનવું છે કે, 'આ સુધારો પંજાબના ઐતિહાસિક અને વહીવટી નિયંત્રણને ખતમ કરવા, રાજ્યના સંઘીય અધિકારો પર હુમલો કરવા અને પંજાબને તેની રાજધાનીથી દૂર રાખવાનું ષડયંત્ર છે.'
ઓગસ્ટ 2016માં પણ કેન્દ્રએ સેવાનિવૃત્ત અમલદાર કે જે અલ્ફોન્સને ચંદીગઢના સ્વતંત્ર પ્રશાસક તરીકે નિયુક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તત્કાલીન શિરોમણી અકાલી દળની આગેવાની હેઠળની પંજાબ સરકારના ભારે વિરોધ બાદ તેને ટાળી દેવામાં આવ્યો હતો.

