છત્તીસગઢ વેદાંતા પાવર પ્લાન્ટ બ્લાસ્ટમાં 19 શ્રમિકોના મોત, મૃતકના પરિજનોને 35 લાખ વળતરની જાહેરાત

છત્તીસગઢના શક્તિ જિલ્લામાં વેદાંત પાવર પ્લાન્ટમાં ગઈકાલે બોયલર ફાટ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે, આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 19 શ્રમિકોના કરૂણ મોત થયા છે અને મૃત્યુઆંક હજી પણ વધવાની આશંકા સેવાઈ રહી છે. આ દુર્ઘટનામાં 35થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કંપનીએ મૃતકના પરિજનોને 35-35 લાખ રૂપિયાની વળતર આપવાની જાહેરાત કરી છે.
હોસ્પિટલોમાં મૃતદેહો, પરિજનોનો આક્રોશ
એકસાથે મોટી સંખ્યામાં શ્રમિકોના મોત થવાને કારણે હોસ્પિટલોમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા છે. રાયગઢ મેડિકલ કોલેજમાં 11 અને જિલ્લા હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 5 મૃતદેહો લાવવામાં આવ્યા છે. મૃતકોના પરિવારોની ભીડ હોસ્પિટલ પરિસરમાં ઉમટી પડી છે. હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી રહી છે.
કંપની દ્વારા વળતરની જાહેરાત
દુર્ઘટનાની ગંભીરતાને જોતા કંપની દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. અહેવાલો અનુસાર વેદાંત કંપની દરેક મૃતક શ્રમિકના પરિવારને 35-35 લાખ રૂપિયાનું વળતર આપશે. આ ઉપરાંત ઈજાગ્રસ્તોની સારવારનો તમામ ખર્ચ પણ ઉઠાવવામાં આવશે.
પ્લાન્ટ-હોસ્પિટલ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ઘટનાને પગલે રાયગઢ અને શક્તિ એમ બંને જિલ્લાની પોલીસ ટુકડીઓ તૈનાત કરી દેવામાં આવી છે. હોસ્પિટલ અને પ્લાન્ટની આસપાસ સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. વહીવટીતંત્રે આ અકસ્માત પાછળના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. વહીવટીતંત્રે પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી છે.

