VIDEO : છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટ્યું, 10ના મોત-40થી વધુ શ્રમિકો દાઝ્યા
છત્તીસગઢમાં વેદાંતા પાવર પ્લાન્ટમાં બોઈલર ફાટતા ભયાનક વિસ્ફોટ થયો છે. રિપોર્ટ મુજબ, આ ઘટનામાં 10થી વધુ શ્રમિકોના મોત થયા હોવાની અને 30થી 40 શ્રમિકો દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે, જેના કારણે મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
બોઈલર ફાટ્યા બાદ ભયાનક વિસ્ફોટ થયો
રિપોર્ટ મુજબ, રાજ્યના સક્તિ જિલ્લામાં સિંઘીતરાઈ ગામમાં વેદાંતાનો પાવર પ્લાન્ટમાં આજે અનેક શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક બોઈલર ફાટ્યા બાદ જોરદાર ધડાકો થયો હતો. જેના કારણે અહીં આખા વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ છે.
મોતનો આંકડો વધવાની આશંકા
ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 30થી 40 શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હોવાથી મોતનો આંકડો વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે, દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયા બાદ આસપાસના ગામડાઓ દહેશત ફેલાઈ ગઈ હતી.
અનેક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર
ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ અધિકારીઓ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ટીમે તુરંત રાહત અને બચાવ કામગીરી હાથ ધરી ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડી રહ્યા છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ અત્યંત ખરાબ હોવાની માહિતી સામે આવી છે. પ્લાન્ટ મેનેજમેન્ટના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. પોલીસે ઘટનાના કારણોની તપાસ કરવાના આદેશ આપી દીધા છે. હાલ કેટલા લોકોના મોત થયા અને કેટલાક લોકોને ઈજા થઈ છે, તેની સત્તાવાર પુષ્ટી થઈ શકી નથી.

