Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 14 MLAs of Uddhav Thackeray in Maharashtra ready to join Shinde faction

મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેના 14 ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાવા તૈયાર, માતોશ્રીમાં દોડધામ

Timeછેલ્લું અપડેટ : 22 Jun 2026
લાઇવ ટીવીGoogle News
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપના સંકેત: ઉદ્ધવ ઠાકરેના 14 ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાવા તૈયાર, માતોશ્રીમાં દોડધામ
સોર્સ : gstv

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર બહુ મોટો રાજકીય ભૂકંપ આવવાના સંકેતો મળી રહ્યા છે. જેમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેનું કથિત 'ઓપરેશન ટાઇગર' સફળ થતું જોવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, શિવસેના યુબીટી (UBT) ના 6 બળવાખોર સાંસદો બાદ હવે ઉદ્ધવ ઠાકરેના 14 ધારાસભ્યો પણ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાવા અથવા અલગ જૂથ બનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા છે. પક્ષમાં મોટા પાયે ભંગાણ પડવાની આ ભીતિને પગલે ઠાકરે જૂથમાં ભારે હડકંપ મચી ગયો છે. જેના કારણે સ્થિતિને કાબૂમાં લેવા માટે ઉદ્ધવ ઠાકરેએ તાત્કાલિક અસરથી તમામ ધારાસભ્યોની એક ઈમરજન્સી બેઠક બોલાવવી પડી છે.

App Store

જો 14 ધારાસભ્યો જશે તો ઉદ્ધવ પાસે માત્ર 6 બચશે

મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના પાસે હાલમાં કુલ 20 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. જો સૂત્રોનો દાવો સાચો સાબિત થાય અને 14 ધારાસભ્યો પક્ષ છોડીને શિંદે જૂથમાં સામેલ થઈ જાય, તો ઉદ્ધવ ઠાકરે પાસે માત્ર 6 ધારાસભ્યો જ બાકી રહેશે, જે પક્ષના અસ્તિત્વ માટે મોટો ફટકો ગણાશે. આ જ કારણ છે કે સેંધમારીની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ આજે બપોરે 2:30 વાગ્યે 'શિવાલય' ખાતે ધારાસભ્યોની આ અગત્યની બેઠક યોજી છે. જે પહેલા બપોરે 12 વાગ્યે પણ આ વિષય પર પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચે ગંભીર મંથન થયું હતું.

બળવાખોર સાંસદો દિલ્હીમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા

બીજી તરફ, શિંદે જૂથના સૂત્રોનું કહેવું છે કે ઉદ્ધવ કેમ્પના 6 બળવાખોર સાંસદો આજે દિલ્હીમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજીને કોઈ મોટી જાહેરાત કરી શકે છે. આ સંભવિત પક્ષ પલટા અંગે પ્રતિક્રિયા આપતા શિંદે જૂથના વરિષ્ઠ નેતા દીપક કેસરકરે જણાવ્યું હતું કે, વિપક્ષી સાંસદોના આવવાથી મહાયુતિ ગઠબંધન વધુ મજબૂત બનશે અને કેન્દ્રમાં પીએમ મોદીના નેતૃત્વવાળી NDA સરકારને વધારાનું બળ મળશે. જેથી દેશની પ્રગતિ ઝડપી બનશે. આમ, ઉદ્ધવ ઠાકરે સામે હવે એક જ સમયે પોતાના સાંસદો અને ધારાસભ્યો બંનેને સાચવવાનું બેવડું સંકટ ઊભું થયું છે.

આદિત્ય ઠાકરેનો વ્યંગ: સરકારને ચલાવતા નથી આવડતું, બસ તોડફોડ ચાલુ છે

પક્ષમાં ચાલી રહેલી આ ઉથલપાથલ અને 'ઓપરેશન ટાઇગર' પર શિવસેના યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ અને તેના સાથી પક્ષોને માત્ર રાજકીય તોડફોડ કરવામાં જ રસ છે. સરકારે પક્ષો તોડવાને બદલે દેશના શાસન પર ધ્યાન આપવું જોઈએ. હાલમાં દેશની વિદેશ નીતિ, પાણીની અછત, આંતરિક સુરક્ષા અને મોંઘવારી જેવી ગંભીર સમસ્યાઓથી જનતા ત્રસ્ત છે. તેમણે ઉમેર્યું કે આ સરકારને કામ કરતા નથી આવડતું અને તેમને ખેડૂતો કે મહિલાઓના અવાજ સંભળાતા નથી.