VIDEO: વાવ થરાદમાં ઉમેદવારી રજૂ કર્યા બાદ કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, "લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે"
વાવ થરાદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. દિયોદર તાલુકાના મકડાલા ગામના વતની અને ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર રહી ચૂકેલા સિદ્ધરાજસિંહ ચૌહાણે રાટીલા જિલ્લા પંચાયત બેઠક ઉપર કોંગ્રેસ પક્ષમાંથી આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવ્યા બાદ સિદ્ધરાજસિંહ ચૌહાણે મીડિયા સમક્ષ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા.
દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, પ્રજા હવે ભાજપ સરકારમાં મોંઘવારી અને બેરોજગારીથી થાકી ગઈ છે, જયાં ગુજરાતમાં ડ્રગસ અને દારૂના દુષણથી પ્રજા પરેશાન છે. જેનાથી હવે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે, જેની શરૂઆત વાવ થરાદ જિલ્લાથી થવાની છે. વાવ થરાદ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ બહુમતીથી જીતશે. તેમજ વર્ષ 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ બહુમતીથી જીતશે જેની શરૂઆત પણ અહીંથી જ થવાની છે.

