VIDEO: વલસાડના ઉમરગામના મામલતદારે કરી આત્મહત્યા, અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા ‘મોટા માથાઓ’નું દબાણ હોવાનો આરોપ
વલસાડના ઉમરગામના મામલતદારે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરતા સમગ્ર વહીવટી તંત્રમાં શોક અને રોષ વ્યાપ્યો છે. એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા બાબતે ભાજપના આગેવાનો અને વકીલોએ મામલતદાર કચેરીમાં આખો દિવસ હાઈવોલ્ટેજ ડ્રામા કરી દબાણ સર્જ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
રાજકીય દબાણથી માનસિક રીતે ભાંગી પડેલા અધિકારીએ આ આત્યંતિક પગલું
નિવૃત્તિને આડે માત્ર એક વર્ષ બાકી હતું ત્યારે રાજકીય દબાણથી માનસિક રીતે ભાંગી પડેલા અધિકારીએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાની આશંકા છે. પોલીસ હવે કોલ ડિટેલ્સના આધારે તપાસ કરી રહી છે કે કયા નેતાઓના દબાણને કારણે ઈમાનદાર અધિકારીએ જીવ ગુમાવવો પડ્યો. આ ઘટના હાલ પંથકમાં 'ટોક ઓફ ધ ટાઉન' બની છે.પરિવારે રાજકીય દબાણનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી અનુસાર, ઉમરગામના મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છે સોમવારે (13મી એપ્રિલ) મોડી રાત્રે આ અંતિમ પગલું ભર્યું હતું. તેમણે ચાલતી ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. ચૂંટણીના માહોલમાં જ્યારે વહીવટી તંત્ર વ્યસ્ત છે, ત્યારે મામલતદાર જેવા જવાબદાર પદ પર રહેલા અધિકારીએ શા માટે આપઘાત કર્યો તે પ્રશ્ન સૌને સતાવી રહ્યો છે. હાલ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
મામલતદારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી
આ મામલે આરોપ લાગી રહ્યા છે કે, સરીગામ બેઠકના એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ કોઈપણ સંજોગોમાં રદ કરવા માટે મામલતદાર પર ઉપરથી ભારે દબાણ લાવવામાં આવી રહ્યું હતું. જોકે, કાયદાકીય રીતે ફોર્મ રદ થઈ શકે તેવા કોઈ જ નક્કર સંજોગો ન હોવાથી મામલતદારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ હતી.
મામલતદાર કચેરીના વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, મામલતદાર ડી.સી. બ્રાહ્મણકાચ્છને ધમકી આપવામાં આવતી હતી કે જો તે ફોર્મ રદ નહીં કરે તો તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવશે અથવા સ્વેચ્છિક નિવૃત્તિ લેવા મજબૂર કરવામાં આવશે. તેણે આવી ધમકીઓને વશ થવાને બદલે અથવા અન્યાયી નિર્ણય લેવાને બદલે મોતને વ્હાલું કરવાનું પસંદ કર્યું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે.

