Valsad: ટીળક વાંચનાલયનું નવીનીકરણ, 100 વર્ષ જુનું ફર્નિચર આજે પણ ઇતિહાસની કરાવે છે ઝાંખી
આજે, 1 ઓગસ્ટ 2025, લોકમાન્ય બાળ ગંગાધર ટીળકની 105મી પુણ્યતિથિ છે. આ નિમિત્તે દેશભરમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવે છે. “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે, અને હું તેને મેળવીશ” જેવા બુલંદ નારા આપનાર ટીળકે સમાજને 'ગણેશ ઉત્સવ' અને 'છત્રપતિ શિવાજી જયંતી' જેવા તહેવારો દ્વારા એક મંચ પર લાવી, એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો.
ટીળક વાંચનાલય, 100 વર્ષથી વધુ જૂનું
વલસાડ જિલ્લાના ઉમરગામમાં આવેલું ટીળક વાંચનાલય, 100 વર્ષથી વધુ જૂનું છે, બંધ થવાના આરે પહોંચેલા આ વાંચનાલયનું નવીનીકરણ અને આધુનિકરણ કરવામાં આવ્યું છે, જેના કારણે હવે યુવા પેઢી અહીં વાંચન માટે આકર્ષાઈ રહી છે. જો કે આ વાંચનાલયમાં ટીળકજીનો 100 વર્ષ જૂનો ફોટો, તેમજ ટેબલ, ખુરશીઓ અને બાંકડા જેવું ઐતિહાસિક ફર્નિચર ઇતિહાસની ઝાંખી કરાવે છે.
શિક્ષિકા વર્ષા પેઠે કહે છે, “ટીળકજીના વિચારો અને તહેવારો આજે પણ સમાજને એકસૂત્રે બાંધે છે.” ટીળક વાંચનાલયના ટ્રસ્ટી ભરત મોહિતે જણાવ્યું, “આધુનિકરણથી યુવાનોમાં વાંચન પ્રત્યે રુચિ વધી છે, અને ટીળકજીનો વારસો જીવંત રહેશે.” આ પુણ્યતિથિ નિમિત્તે ઉમરગામમાં ટીળકજીના યોગદાનને યાદ કરી, સમાજમાં એકતા અને જ્ઞાનના પ્રસારનો સંકલ્પ લેવાયો.

