VIDEO: Valsad / મધુબન ડેમ તૂટવાની અફવાથી ભયનો માહોલ; લોકો ગામ ખાલી કરવા લાગ્યા, તંત્રએ માઈકમાં અનાઉન્સ કરીને અફવાનું કર્યું ખંડન
વલસાડ જિલ્લાના મધુબન ડેમ અંગે સોશિયલ મીડિયામાં વહેતી થયેલી એક ખોટી અફવાને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે અફડાતફડી અને ભયનો માહોલ સર્જાયો હતો. ડેમના દરવાજા તૂટ્યા હોવાની અને ડેમમાં તિરાડ પડી હોવાની અફવા ફેલાતા ગભરાયેલા ગ્રામજનો પોતાના ઘર ખાલી કરીને સલામત સ્થળે ભાગવા લાગ્યા હતા. જો કે, ઘટનાની ગંભીરતા જોઈ વલસાડ કલેક્ટર અને પોલીસ તંત્રએ ત્વરિત કાર્યવાહી કરી આ અફવાનું તદ્દન ખંડન કર્યું છે.
ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત, અસમાજિક તત્વોએ ફેલાવી અફવા
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે કે મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ડેમમાં કે તેની દિવાલોમાં કોઈપણ પ્રકારની તિરાડ પડી નથી કે કોઈ નુકસાન થયું નથી. કેટલાક અસામાજિક તત્વો દ્વારા ડેમ તૂટ્યો હોવાની પાયાવિહોણી અને ભ્રામક અફવા ફેલાવવામાં આવી હતી.
પોલીસે માઈકથી એનાઉન્સમેન્ટ કરવું પડ્યું
અફવાને કારણે લોકોમાં ફેલાયેલા ડરને દૂર કરવા માટે પોલીસ તંત્રને તાત્કાલિક ધોરણે વિવિધ વિસ્તારો અને ગામડાઓમાં ફરીને માઈકથી એનાઉન્સમેન્ટ (જાહેરાત) કરવાની ફરજ પડી હતી. પોલીસે લોકોને પોતાના ઘરે પરત ફરવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી.
પાણીની આવક વધતા તબક્કાવાર ગેટ ખોલાયા હતા
તંત્રના જણાવ્યા અનુસાર, મધુબન ડેમના ઉપરવાસ તેમજ કેચમેન્ટ વિસ્તાર જેવા કે કપરાડા અને ધરમપુર પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે ડેમમાં પાણીની વિપુલ આવક નોંધાઈ હતી. ડેમની સુરક્ષા અને જળસપાટીને નિયંત્રણમાં રાખવા માટે નિયમ મુજબ ગેટ ખોલીને તબક્કાવાર પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું.
વહીવટી તંત્રએ જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફેલાતી આવી કોઈ પણ ખોટી માહિતી કે અફવાઓથી ગભરાવું નહીં અને ઘર છોડીને ભાગવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

